બિહારમાં મિડ-ડે મીલ ખાધા બાદ 100થી વધુ વિદ્યાર્થીઓ બીમાર

પટનાઃ બિહારના સુપૌલ જિલ્લામાં મિડ-ડે મીલને લઈને ચોંકાવનારી ઘટના બની છે. ત્રિવેણીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના મિરજવા વોર્ડ-10 સ્થિત મધ્ય વિદ્યાલયમાં બુધવારે મિડ-ડે મીલ ખાધા બાદ 100થી વધુ વિદ્યાર્થીઓની તબિયત અચાનક બગડી હતી. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે પીરસવામાં આવેલી શાકભાજીમાં મરેલો વીંછી મળ્યો હતો. ઘટનાને પગલે શાળામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બાળકોની તબિયત બગડતાં જ શાળા પ્રશાસન અને સ્થાનિક લોકોએ તાત્કાલિક તેમને નાનાં વાહનો તથા અન્ય સાધનો મારફતે ત્રિવેણીગંજ અનુમંડલીય હોસ્પિટલ પહોંચાડ્યાં હતાં. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોસ્પિટલ પહોંચતાં થોડા સમય માટે ત્યાં પણ ગભરાટ અને અવ્યવસ્થાનું વાતાવરણ સર્જાયું હતું.

રાહતની વાત એ રહી કે હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ તમામ બાળકોની સ્થિતિ સામાન્ય હોવાનું જણાવાયું છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ હાલમાં બધા વિદ્યાર્થીઓ જોખમથી બહાર છે અને તેમની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

ભોજન બાદ ઊલટી, પેટ દર્દ અને ચક્કરની ફરિયાદ

પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે મિડ-ડે મીલમાં વિદ્યાર્થીઓને ભાત અને બટાકા-ચણાનું શાક પીરસવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે ભોજન દરમિયાન શાકમાં મરેલો વીંછી મળ્યો હતો. જોકે તે પહેલાં મોટા ભાગનાં બાળકો ભોજન કરી ચૂક્યાં હતાં. ભોજન લીધાના થોડા જ સમયમાં અનેક વિદ્યાર્થીઓએ ગળામાં બળતરા, પેટ દર્દ, ઊલટી, ચક્કર અને બેચેનીની ફરિયાદ શરૂ કરી. થોડા જ સમયમાં કેટલાંક બાળકોની સ્થિતિ વધુ બગડી ગઈ, કેટલાકને ઊલટીઓ થવા લાગી અને કેટલાક અર્ધબેભાન જેવી સ્થિતિમાં પહોંચી ગયા હતા.

તપાસમાં જોડાયું પ્રશાસન, કાર્યવાહીનો સંકેત

આ મામલે મિડ-ડે મીલના ડીપીએમ પંકજકુમાર સિંહે જણાવ્યું હતું કે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) પાસેથી માહિતી મળ્યા બાદ સમગ્ર ઘટનાની વિગતો મેળવવામાં આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર મિડ-ડે મીલ ખાધા બાદ અનેક વિદ્યાર્થીઓને પેટ દર્દ અને ઊલટીની ફરિયાદ થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે કેટલાક વિદ્યાર્થીઓએ ભોજનમાં વીંછી મળ્યાનો આક્ષેપ કર્યો છે. હાલમાં સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. જો કોઈ પણ સ્તરે બેદરકારી સામે આવશે તો જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.