LPG બુકિંગ 55 લાખથી વધીને દરરોજ 75 લાખ સુધી પહોંચ્યાં: પેટ્રોલિયમ મંત્રાલય

નવી દિલ્હીઃ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે માહિતી આપી હતી કે LPG સિલિન્ડરની બુકિંગ વધીને દરરોજ લગભગ 75-76 લાખ સુધી પહોંચી ગઈ છે, જ્યારે સામાન્ય દિવસોમાં તે 50થી 55 લાખ વચ્ચે રહેતી હતી. પેટ્રોલિયમ મંત્રાલયનાં સંયુક્ત સચિવ સુજાતા શર્માએ પત્રકારોને જણાવ્યું હતું કે દરરોજ લગભગ 50 લાખ ઘરેલુ LPG સિલિન્ડરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે લોકોમાં ગભરાટમાં આવીને બુકિંગ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે કોઈપણ LPG ડીલર પાસે ગેસની અછત નથી.

તેમણે જણાવ્યું હતું કે ભારત પાસે 258 મિલિયન મેટ્રિક ટન ક્રૂડ તેલની રિફાઇનિંગ ક્ષમતા છે. ભારત પેટ્રોલ અને ડીઝલના ઉત્પાદનમાં આત્મનિર્ભર છે, તેથી આ ઈંધણો માટે આયાત કરવાની જરૂર નથી. તેમણે જણાવ્યું હતું કે હાલમાં દેશની તમામ રિફાઇનરીઓ 100 ટકા અથવા તેની કરતાં વધુ ક્ષમતાથી કાર્યરત છે.તેમણે વધુમાં કહ્યું હતું કે ઘરેલુ ગ્રાહકોને PNG અને CNGની સપ્લાય પણ કોઈ વિક્ષેપ અથવા કાપ વગર ચાલુ છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષના કારણે મધ્ય-પૂર્વમાં તણાવનું વાતાવરણ છે. ઈરાને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બંધ કરી દીધું છે, જેને કારણે વિશ્વભરમાં કાચા તેલ અને ગેસની સપ્લાય પર અસર થવાની આશંકા ઊભી થઈ છે. તેમણે કહ્યું હતું કે ઘરેલુ વપરાશકર્તાઓને નિરંતર સપ્લાય સુનિશ્ચિત કરવામાં આવી છે. તેમ જ હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને પણ LPGની સપ્લાય આપવામાં આવી રહી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ઘરેલુ LPGનું ઉત્પાદન 30 ટકા વધ્યું છે.