‘તત્કાલ લેબનોન છોડો’, ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી

ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે યુદ્ધ ઉગ્ર બની રહ્યું છે જેના કારણે મધ્ય પૂર્વમાં તણાવ ઝડપથી વધી રહ્યો છે. આ સંદર્ભે, બેરુતમાં ભારતીય દૂતાવાસે બુધવારે લેબનોનમાં ભારતીય નાગરિકો માટે એક એડવાઈઝરી જાહેર કરીને તેમને તાત્કાલિક દેશ છોડી દેવાની સલાહ આપી છે.

બેરૂતમાં ભારતીય દૂતાવાસે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરીને કહ્યું કે, ‘પ્રદેશમાં તણાવને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આગળની સૂચના સુધી લેબનોનની મુસાફરી ન કરે. લેબનોનમાં પહેલાથી જ હાજર તમામ ભારતીય નાગરિકોને પણ લેબનોન છોડવાની સખત સલાહ આપવામાં આવે છે. જેઓ કોઈપણ કારણોસર રોકાયા છે તેમને સલાહ આપવામાં આવે છે કે તેઓ અત્યંત સાવધાની રાખે, તેમની હિલચાલ બંધ કરે અને બેરૂતમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરે.

ઇઝરાયેલના બોમ્બ ધડાકામાં 580 થી વધુ લોકોના મોત

હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધને લગભગ એક વર્ષ થઈ ગયું છે અને હવે ઈઝરાયેલ ખુલ્લેઆમ હિઝબુલ્લાને નિશાન બનાવી રહ્યું છે. ગયા અઠવાડિયે પેજર હુમલાથી શરૂ થયેલો હુમલો હવે હવાઈ હુમલામાં ફેરવાઈ ગયો છે. માહિતી અનુસાર, ઇઝરાયેલની બોમ્બમારાથી લેબનોનમાં અત્યાર સુધીમાં 580 થી વધુ લોકોના મોત થયા છે, જેમાં ડઝનેક બાળકો પણ સામેલ છે. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રીએ તેને ‘નરસંહાર’ ગણાવ્યો છે.