જેટલું જલદી થઈ શકે ઇરાન છોડી દોઃ ચીનનો નાગરિકોને સંદેશ

નવી દિલ્હીઃ ઇઝરાયલ અને ઇરાન વચ્ચેનો સંઘર્ષ સતત વધી રહ્યો છે. કેનેડામાં યોજાયેલા શિખર સંમેલનમાં ભાગ લેનાર G-7 નેતાઓએ ખુલ્લેઆમ ઇઝરાયલને સમર્થન આપ્યું છે. એટલું જ નહીં, G-7 નેતાઓએ સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે ઇરાનને કોઈ પણ કિંમતે અણુ હથિયારો રાખવા દેવામાં નહીં આવે. G-7 નેતાઓએ એ પણ કહ્યું કે ઇઝરાયલને પોતાની આત્મસંરક્ષણનો પૂરો અધિકાર છે.

આ સાથે ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા નાગરિકો માટે એડવાઈઝરી પણ જારી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો પોતાના સ્રોતોનો ઉપયોગ કરીને તહેરાન બહાર જઈ શકે છે, તેઓ સલામત સ્થળે જવા પ્રયત્ન કરે.

બીજી બાજુ, ચીને પોતાના નાગરિકોને કહ્યું છે કે તેઓ ‘જેટલી વહેલી તકે’ ઇરાન છોડીને નીકળી જાય. બાકુમાં એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ઇઝરાયલ દ્વારા ઇરાન પર હુમલો શરૂ કર્યા બાદ 600થી વધુ વિદેશી નાગરિકો ઇરાનમાંથી અજરબૈજાનમાં પ્રવેશી ગયા છે. ઇઝરાયલના લડાકુ વિમાનોએ સોમવાર રાત્રે તહેરાનમાં લાઈવ પ્રસારણ દરમ્યાન સરકારી ટેલિવિઝન હેડક્વાર્ટર પર બોમ્બબારો કર્યો હતો. ઇરાનનું કહેવું છે કે તેણે અત્યાર સુધીમાં ઇઝરાયલ પર આશરે 400 બેલિસ્ટિક મિસાઈલો ફાયર કરી છે.

વડા પ્રધાન નેતન્યાહૂએ કહ્યું હતું કે ખોમિનીના અંત સાથે જ વિસ્તારમાં શાંતિ સ્થાપિત થઈ શકે છે. મિસાઈલ અને ડ્રોન હુમલાઓના કારણે બંને દેશોમાં મોતનો આંકડો વધી રહ્યો છે. અત્યાર સુધીમાં ઈરાનમાં ઓછામાં ઓછા 224 લોકોનાં મોત થયા છે અને 1200થી વધુ લોકો ઘાયલ થયા છે. જ્યારે ઈઝરાયલમાં ઇરાનના જવાબી હુમલાઓને કારણે ઓછામાં ઓછા 24 લોકોનાં મોત થયા છે અને 592 લોકો ઘાયલ થયા છે.