તહેરાન: ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું છે કે જો અમેરિકા ઇઝરાયેલ સાથે ચાલી રહેલા યુદ્ધમાં સક્રિય રીતે સામેલ થશે, તો તે દરેક માટે બહુ જ જોખમકારક બનશે. તેમણે કહ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સૈનિક હસ્તક્ષેપ અંગે વિચારી રહ્યા છે અને આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.
ઇઝરાયલના હુમલાઓ ચાલુ રહેશે ત્યાં સુધી અમે અમેરિકા સાથે વાત નહીં કરીએ, એમ ઇરાન અરાઘચીએ આ વાત ઇસ્તાંબુલમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહી હતી. તે સમયે તેઓ જિનેવામાં યોજાયેલી વાટાઘાટમાંથી પરત ફરતા હતા. આ વાટાઘાટમાંથી કોઈ ખાસ કૂટનૈતિક ઉકેલ ન આવ્યો. તેમણે કહ્યું હતું કે તેઓ ભવિષ્યમાં વાતચીત માટે તૈયાર છે, પણ ઇઝરાયેલના હુમલાઓ ચાલુ રહેશે ત્યાં સુધી ઇરાનને અમેરિકા સાથે કોઈ વાતચીતમાં રસ નથી.
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર સંસ્થામાં યોજાયેલી ચર્ચામાં ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું હતું કે ઇઝરાયલે ખોટી રીતે અમારા પર હુમલો કર્યો છે. આ એક થોપાયેલી જંગ છે. તેમણે કહ્યું હતું કે ઇઝરાયલ પેલેસ્ટાનીઓ પર પણ અત્યાચાર કરી રહ્યું છે અને પાડોશી દેશોની જમીન પર કબજો પણ કર્યો છે. એટલે દરેક દેશોને તેના વિરોધમાં ઊભા રહેવું જોઈએ.
અરાઘચીએ કહ્યું હતું કે આ સંઘર્ષમાં અમેરિકાનું સૈન્ય હસ્તક્ષેપ પ્રદેશ તથા વૈશ્વિક સ્થિરતા માટે ગંભીર જોખમ બની શકે છે. તેમની આ ટિપ્પણી એ સમયે આવી છે જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ યુદ્ધમાં અમેરિકા શું ભૂમિકા ભજવે તે અંગે વિચારી રહ્યા છે. અરાઘચીએ કહ્યું હતું કે આ નિર્ણય અમેરિકા માટે પણ દુર્ભાગ્યપૂર્ણ સાબિત થશે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા ત્યારે જ શક્ય બને જ્યારે બધાં પક્ષો કૂટનીતિને પ્રાથમિકતા આપે અને વિખવાદ ઊભા કરનારા પગલાંથી દૂર રહે.
