શું પાકિસ્તાન જશે PM મોદી?

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનની વચ્ચે સંબંધ તણાવપૂર્ણ છે, જેનું મુખ્ય કારણ પાકિસ્તાન તરફથી થનારો આતંકવાદ છે. હવે પાકિસ્તાને PM મોદીને આમંત્રણ મોકલ્યું છે. ઓક્ટોબરમાં ઇસ્લામાબાદમાં આયોજિત થનારું શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના રાષ્ટ્રાધ્યક્ષોના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે વડા પ્રધાન મોદીને નિમંત્રણ મોકલવામાં આવ્યું છે.

ભારત અને પાકિસ્તાનની વચ્ચે અનેક વર્ષોથી સંબંધો વણસેલા છે. ભારત સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને પોષશે, ત્યાં સુધી બંને દેશો વચ્ચે સંબંધો સામાન્ય નહીં થાય. પાસિતાનના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મુમતાઝ જહરા બલૂચે કહ્યું હતું કે 15-16 ઓક્ટોબરે થનારા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે રાષ્ટ્રાધ્યક્ષોને નિમંત્રણ મોકલવામાં આવ્યાં છે.

SCO શિખર સંમેલનથી પહેલાં મંત્રી સ્તરીય વાટાઘાટ અને વરિષ્ઠ અધિકારીઓની બેઠકો થશે, જેમાં SCOના સભ્ય દેશોની વચ્ચે નાણાકીય, સામાજિક, સાંસ્કૃતિક અને માનવીય સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. SCO ભારત, ચીન, રશિયા, પાકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉજબેકિસ્તાનનું એક પ્રભાવશાળી આર્થિક અને સુરક્ષા ગ્રુપ છે. પ્રવક્તાએ કહ્યું હતું કે પાકિસ્તાન અને ભારતની વચ્ચે કોઈ પ્રત્યક્ષ દ્વિપક્ષી વેપાર નથી થતો.

SCOના કેટલાક દેશોના રાષ્ટ્રીયધ્યક્ષોએ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પુષ્ટિ કરી દીધી છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારત તરફથી અત્યાર સુધી ખુલાસો નથી થયો કે આ સંમેલનમાં ભાગ લેવા માટે કોણ જશે.?