USAએ અમેરિકનોને ભારત-પ્રવાસ માટે પુનર્વિચાર કરવા કહ્યું

વોશિંગ્ટનઃ કોરોના રોગચાળાના કહેરની વચ્ચે અમેરિકાએ ભારત માટે ટ્રાવેલ એડવાઇઝરીમાં સુધારો કર્યો છે. એને લેવલ ચારથી લેવલ ત્રણ કેટેગરીમાં અપગ્રેડ કરવામાં આવ્યું છે. લેવલ ત્રણ હેઠળ લોકોને પ્રવાસ કરવા માટે પુનર્વિચાર કરવા માટે કહેવામાં આવે છે. જોકે લેવલ ચારનો અર્થ ક્યારેય પ્રવાસ ન કરવો. જો તમે FDA દ્વારા સત્તાવાર રીતે રસી લગાવી ચૂક્યા છો તો કોરોના રોગચાળાથી ગંભીર લક્ષણોથી સંક્રમિત થવાનું જોખમ ઓછું હોઈ શકે છે. આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ કરતાં પહેલાં જેતે દેશનાં રસીકરણ માટે રોગ નિયંત્રણ અને કોરોનાને અટકાવતાં કેન્દ્રો (CDC)ની ખાસ ભલામણોની સમીક્ષા કરો, એમ પ્રવાસીઓ માટે અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા સલાહમાં કહેવામાં આવ્યું હતું.

વિદેશ વિભાગની એડવાઇઝરી CDC દ્વારા કોરોનાને કારણે ભારત માટે લેવલ ત્રણ ટ્રાવેલ હેલ્થ નોટિસ જારી કર્યા પછી આવી છે.  જોકે CDCનું સૂચન છે કે લોકોએ પ્રવાસનાં સ્થળોએ પ્રવાસ કરવા માટે પુનર્વિચાર કરી શકે છે, જેમને લેવલ ત્રણના રૂપમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે અને છતાં જો લોકો ત્યાં પ્રવાસ કરવા ઇચ્છે છે તો તેમણે ખાતરી આપવી પડશે કે તેમણે રસી લઈ લીધી છે.

જોકે અમેરિકાએ નાગરિકોને ક્રાઇમ અને ટેરરિઝમ માટે પણ વધુ સાવધાન રહેવા જણાવ્યું છે. એપ્રિલમાં ભારત માટે લેવલ ચાર-પ્રવાસ આરોગ્ય નોટિસ જારી કરવામાં આવી હતી, કેમ કે દેશ બીજી ઘાતક લહેર સામે ઝઝૂમી રહ્યો હતો.