બ્રિટિશ કોર્ટે નીરવ મોદીના ભારત-પ્રત્યાર્પણને મંજૂરી આપી

લંડનઃ છેતરપિંડી, મની લોન્ડરિંગના આરોપસર ભારતે જેને વોન્ટેડ ઘોષિત કર્યા છે તે જાણીતા જ્વેલર અને હીરાના વેપારી નીરવ મોદી કરોડો રૂપિયાના પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) કૌભાંડમાં ભારતને પ્રત્યાર્પણ કરવાના કેસમાં કાનૂની લડાઈ હારી ગયા છે. બ્રિટનના એક જજે આજે ચુકાદો અપ્યો છે કે આ કેસમાં તે અપરાધી છે અને એમણે ભારતની અદાલતને જવાબ આપવો પડશે. નીરવ મોદીને અપરાધી જાહેર કરી શકાય એ માટે જે પુરાવા રજૂ કરવામાં આવ્યા છે એ સંતોષજનક છે. પંજાબ નેશનલ બેન્કને અસર કરનાર રૂ. 14,000 કરોડના કૌભાંડમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગના કેસમાં નીરવ મોદી વોન્ટેડ છે. 49 વર્ષીય નીરવ લંડનની વોન્ડ્સવર્થ જેલમાંથી વિડિયો કોન્ફરન્સિંગ મારફત જજ સમક્ષ હાજર થયા હતા. 2019ની 19 માર્ચે નીરવ મોદીની લંડનમાં પ્રત્યાર્પણ વોરંટ ઉપર ધરપકડ કરવામાં આવી હતી.

જિલ્લા જજે કહ્યું કે નીરવ મોદી તથા પીએનબી બેન્કના અધિકારીઓ સહિત બીજા કાવતરાખોરો વચ્ચે સ્પષ્ટ લિન્ક હોવાનું માલૂમ પડ્યું છે. નીરવ મોદીએ પોતાની ઉપર ચડેલા ઋણ વિશે પીએનબીને લેખિતમાં જાતે જ કબૂલાત કરી હતી તથા એને ચૂકવી દેવાનું વચન આપ્યું હતું. નીરવ મોદીની કંપનીઓ ડમી ભાગીદારો હતી એ વિશે સીબીઆઈ એજન્સી તપાસ કરી રહી છે. નીરવ મોદી આ કંપનીઓને છાયા-કંપનીઓ તરીકે ચલાવતા હતા. લેટર્સ ઓફ અન્ડરટેકિંગ્સ જે રીતે હાંસલ કરવામાં આવ્યા હતા એ જોતાં અમે એવા નિષ્કર્ષ પર આવ્યા છીએ કે નીરવ મોદી અને એમની કંપનીઓ છેતરપિંડીના આશયથી કામ કરતા હતા. હું એ વાતે સંતુષ્ટ છું કે નીરવ મોદીને અપરાધી જાહેર કરી શકાય એટલા પુરાવા છે. આ કેસ પ્રાથમિક રીતે મની લોન્ડરિંગનો છે. હું ભારત સરકારે કરેલી રજૂઆતોને માન્ય રાખું છું. ભારત તરફથી અમને પુરાવાના 16 વોલ્યૂમ્સ મળ્યા છે. હું એ વાત સ્વીકારવા તૈયાર નથી કે જો નીરવ મોદીનું પ્રત્યાર્પણ કરી દેવામાં આવે તો એને ભારતમાં ન્યાય નહીં મળે.