પાકિસ્તાને અફઘાનિસ્તાન પર મોટી એરસ્ટ્રાઇક કરી, આઠનાં મોત

કાબુલઃ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની તાલિબાની સેનાની વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાની એરફોર્સે અફઘાનિસ્તાનની ઉપર હવાઈ હુમલો કર્યો છે. આ હવાઈ હુમલા પાછળનો હેતુ TTP આતંકવાદીઓને નષ્ટ કરવાનો છે. રાતે તહરિક-એ-તાલિબાનના ખૂની હુમલા પછી અફઘાનિસ્તાનમાં ઘૂસીને જવાબી હુમલો કર્યો હતો, જેમાં આઠ લોકોનાં મોત થયાં હતાં.

તાલિબાની સૈનિકોએ ડુરંડ લાઇન પર ત્રણ સરહદી ચોકીઓ પર જોરદાર હુમલો કર્યો હતો અને ભારે હથિયારોની મદદથી પાકિસ્તાની સેનાનાં કેટલાંક સ્થાનો પર હુમલો કર્યો હતો, જ્યારે પાકિસ્તાનનો દાવો છે કે એના હવાઈ હુમલામાં TTPના સ્થાનોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં.પાકિસ્તાની એરફોર્સના હુમલા પછી તાલિબાને પણ સેનાને જવાબી હુમલાનો આદેશ આપ્યો હતો.

પાકિસ્તાની સુરક્ષા સૂત્રોએ પાક મિડિયામાં દાવો કર્યો હતો કે અફઘાન સરહદ તરફથી તાલિબાની સૈનિક પાકિસ્તાનના નાગરિક સ્થાનોને નિશાન બનાવી રહ્યાં છે. પાકિસ્તાને કહ્યું હતું કે ત્રણ તરફથી કુર્રમ કબાયલી જિલ્લા, ઉત્તરી વજિરિસ્તાન અને દક્ષિણી વજિરિસ્તાનથી તાલિબાની સૈનિકોએ  ભારે હથિયારો અને તોપોની મદદથી હુમલો કર્યો હતો. જેથી પાકિસ્તાનના વિસ્તારોમાં કેટલાય મોર્ટાર ગોળા અને ગોળીઓ લાગી હતી. પાકિસ્તાને કહ્યું હતું કે તાલિબાની આ હુમલાનો જોરદાર રીતે જવાબ આપવામાં આવી રહ્યો છે.

પાકિસ્તાન સેનાના હવાઈ હુમલાથી ભડકેલા તાલિબાની પ્રવક્તા જબીઉલ્લા મુજાહિદે કબૂલ કર્યું છે કે તેમના વિસ્તારમાં હવાઇ હુમલા કરવામાં આવ્યા છે. આ હુમલા ખોસ્ત અને પાકટિકા વિસ્તારમાં થયા હતા.  પાકિસ્તાને આ હવાઈ હુમલાનાં ભીષણ પરિણામો ભોગવવાં પડશે. તાલિબાને ફરી એક વાર કહ્યું છે કે એણે કોઈને પણ પોતાની જમીનથી આતંકવાદી કામગીરી નહીં ચલાવવા દીધી છે. પાકિસ્તાન એ ભૂલી જાય કે TTP આતંકવાદી અફઘાનિસ્તાનથી હુમલા કરી રહ્યો છે.