POKમાં પ્રદર્શનકારીઓ પર ફાયરિંગમાં આઠ લોકોનાં મોત

મુઝફ્ફરાબાદ: પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (PoK) માં વિધાનસભા ચૂંટણી પહેલાં પરિસ્થિતિ સતત તણાવપૂર્ણ બની રહી છે. અહીં જનરલ આસિમ મુનીરની સેનાએ પ્રદર્શનકારીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી હોવાના અહેવાલો છે. વિરોધ કરનારાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવામાં આવી રહ્યો હોવાના દાવા કરવામાં આવ્યા છે. અત્યાર સુધી આઠ લોકોનાં મોત થયાનો દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ આજે મુઝફ્ફરાબાદમાં એક વિશાળ જનમાર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.

રાવલકોટ અને સુધનોતી વચ્ચે ગોળીબારનો દાવો

પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં ચૂંટણીવિરોધી આંદોલન દરમિયાન રાવલકોટ અને સુધનોતી વચ્ચે પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવામાં આવ્યો હોવાના સમાચાર છે. સ્થાનિક સ્તરે કરવામાં આવેલા દાવાઓ મુજબ આ કાર્યવાહીમાં આઠ પ્રદર્શનકારીઓનાં મોત થયાં છે અને અનેક લોકો ઘાયલ થયા છે. જોકે આ દાવાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી.

મુઝફ્ફરાબાદ કૂચ રોકવા માટે ગોળીબાર

પ્રાપ્ત માહિતી અનુસાર મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ મુઝફ્ફરાબાદ તરફ કૂચ કરવા માટે એકત્ર થયા હતા. આ દરમિયાન સુરક્ષા દળોએ રાવલકોટ બસ સ્ટેન્ડ આસપાસ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓ પર આંસુ ગેસના શેલ છોડ્યા હતા અને ગોળીબાર પણ કર્યો હતો. સરકાર વિરોધી આ પ્રદર્શનમાં મહિલાઓની પણ મોટી સંખ્યામાં હાજરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

12 અનામત બેઠકોને લઈને આંદોલન શા માટે?

હકીકતમાં, પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં છેલ્લાં કેટલાંક અઠવાડિયાથી ચૂંટણી પ્રણાલી સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. PoK વિધાનસભાની કુલ 53 બેઠકો છે, જેમાંથી 12 બેઠકો એવા કાશ્મીરી શરણાર્થીઓ માટે અનામત રાખવામાં આવી છે, જે PoKમાં નહીં પરંતુ પાકિસ્તાનના અન્ય શહેરો જેમ કે લાહોર, કરાચી અને રાવલપિંડીમાં રહે છે.

36 દિવસથી ચાલુ આંદોલન, 80થી વધુ મોતનો દાવો

PoKમાં પાકિસ્તાન સરકાર સામે લોકોનો રોષ સતત વધી રહ્યો છે. છેલ્લા 36 દિવસથી લોકો રસ્તા પર ઉતરીને શહબાઝ શરીફ અને આસિમ મુનીરને ખુલ્લો પડકાર આપી રહ્યા છે. આંદોલનનું નેતૃત્વ કરનાર સંગઠનોનો દાવો છે કે છેલ્લા 36 દિવસ દરમિયાન 80થી વધુ પ્રદર્શનકારીઓનાં મોત થયા છે અને સેંકડો નેતાઓ તથા કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે.