કશ્મીર પર સાઉદી અરેબિયાએ સાથ ન આપતાં પાકિસ્તાન ભડક્યું

ઇસ્લામાબાદઃ ચીન અને તુર્કીના ઇશારે નાચી રહેલા પાકિસ્તાને કાશ્મીરને લઈને હવે જૂના મિત્ર સાઉદી અરેબિયાને મોટી ધમકી આપી છે. પાકિસ્તાનના ષડયંત્રમાં સાથ નહીં આપવા બદલ હતાશ થયેલા પાકિસ્તાની વિદેશપ્રધાન શાહ મહમૂદ કુરેશીએ સાઉદી અરેબિયાના નેતૃત્વવાળા ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કન્ટ્રીઝ (OIC)ને ધમકાવવાનું શરૂ કર્યું છે. તેમણે કહ્યું હતું કે OIC કાશ્મીર પર પોતાના વિદેશપ્રધાનોની પરિષદની બેઠક બોલાવવાનું બંધ કરે.

પાકિસ્તાની ન્યૂઝ ચેનલ ARYને કુરેશીએ કહ્યું હતું કે હું ફરી એક વાર સન્માનથી OICને કહેવા માગું છું કે વિદેશપ્રધાનોની પરિષદની બેઠક અમારી અપેક્ષા છે. જો તમે એને બોલાવી ના શકો તો હું વડા પ્રધાન ઇમરાન ખાનથી ઇસ્લામિક દેશોની મીટિંગ બોલાવવા માટે ફરજ પાડીશ, જે કાશ્મીર મુદ્દે અમારી સાથે ખભેખભા મિલાવી ઊભા રહેવા તૈયાર છે.
ક્યારેક સાઉદી અરેબિયાના નાણાંથી પાલનપોષણ કરનારા પાકિસ્તાને વિદેશપ્રધાને પોતાના નિવેદન દ્વારા OICને એક રીતે ધમકી આપી હતી. એકક અન્ય સવાલના જવાબમાં કુરેશીએ કહ્યું હતું કે પાકિસ્તાન વધુ રાહ નથી જોઈ શકતું.

પાકિસ્તાન કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કર્યા પછી 57 મુસ્લિમ દેશોના સંગઠન OICના વિદેશપ્રધાનોની બેઠક બોલાવવા માટે સતત સાઉદી અરેબિયા પર દબાણ કરી રહ્યું છે. જોકે અત્યાર સુધી એને સફળતા નથી મળી. સંયુક્ત રાષ્ટ્ર પછી OIC વિશ્વનું સૌથી બીજા નંબરનું મોટું સંગઠન છે.

કુરેશીએ કહ્યું હતું કે પાકિસ્તાને સાઉદી અરેબિયાના વિનંતી પર ખુદને કુઆલા લમ્પુર શિખર સંમેલનથી અલગ કરી લીધું હતું અને હવે પાકિસ્તાન એ માગ કરી રહ્યું છે કે સાઉદી અરેબિયા કાશ્મીરને મુદ્દે આગેવાની લે. પાકિસ્તાની વિદેશપ્રધાને કહ્યું હતું કે જો OICના વિદેશપ્રધાનોની બેઠક થાય છે તો એનાથી કાશ્મીર પર ભારતને ઇસ્લામિક દેશો તરફથી સ્પષ્ટ સંદેશ જશે.
પાકિસ્તાનને સાથ નથી આપી રહ્યું સાઉદી અરેબિયા

OICની બેઠક ના બોલાવવા માટે એક મોટું કારણ સાઉદી અરેબિયા છે. સાઉદી અરેબિયા OIC દ્વારા ભારતને ચિત કરવાની ચાલમાં સાથ નથી આપી રહ્યું. OICમાં કોઈ પણ પગલા માટે સાઉદી અરેબિયાનો સાથ સૌથી જરૂરી છે. OIC પર સાઉદી અરેબિયા અને એના સહયોગી દેશોનો દબદબો છે.

કુરેશીએ કહ્યું હતું કે અમારી સંવેદનશીલતાને તમારે સમજવી પડશે. ખાડી દેશોને એ સમજવી પડશે. તેમણે કહ્યું હતું કે તેઓ ભાવુક થઈને આ નિવેદન નથી કરતા, પણ એની અસરને સમજીએ છીએ. તેમણે કહ્યું હતું કે એ સાચું છે કે હું સાઉદી અરેબિયા સાથે સારા સંબંધો છતાં મારું વલણ સ્પશ્ટ કરી રહ્યો છું. પાકિસ્તાની ન્યૂઝપેપરના અહેવાલ મુજબ સાઉદી અરેબિયાના ભગલાં નહીં ભરવાથી પાકિસ્તાન નિરાશ થયું છે. ઇમરાન ખાને પણ પાછલા દિવસોમાં આ મુદ્દે પોતાની હતાશા વ્યક્ત કરી હતી.