બર્લિનઃ એક તરફ જ્યાં આખી દુનિયા કોરોના વાયરસ સામે લડવામાં લાગેલી છે ત્યાં કેટલાક દેશો એવા પણ છે કે જ્યાં કેટલાક બેજવાબદાર લોકોએ સરકારની ચિંતા વધારી દીધી છે. આ પૈકી એક દેશ છે જર્મની. વર્તમાન સમયમાં જર્મનીમાં કોરોના વાયરસના કુલ 118235 કેસો સામે આવી ચૂક્યા છે. અત્યાર સુધીમાં 2607 લોકો આના કારણે પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. 52407 દર્દીઓ સાજા થયા છે. અહીંયા આના એક્ટિવ કેસોની સંખ્યા પણ 63221 પર પહોંચી ગઈ છે. આમાં 4895 કેસો ગંભીર શ્રેણીના છે. દર્દીઓની આટલી સંખ્યા અને આના કારણે થયેલા મોત બાદ પણ કેટલાક લોકો સરકારની વાતોને અવગણી રહ્યા છે.
આ જ કારણ હતું કે ઈસ્ટરની પૂર્વ સંધ્યાએ જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલે એક પ્રેસ કોન્ફર્સ કરીને લોકોને કહ્યું હતું કે, પ્લીઝ તમે તકેદારી રાખો. પ્રાપ્ત વિગતો અનુસાર, તેમણે કહ્યું કે, કોરોના વાયરસ વિરુદ્ધ લડાઈમાં જર્મની યોગ્ય રસ્તા પર છે. સરકાર દ્વારા ભરવામાં આવેલા પગલાના કારણે સંક્રમણના નવા કેસોમાં ઘટાડો થયો છે. તેમણે અપીલ કરતા કહ્યું કે, ભલે ઈસ્ટરનું પર્વ ખૂબ મોટું છે પરંતુ આમાં પણ તમામ દેશવાસીઓએ સરકાર દ્વારા લગાવવામાં આવેલા કેટલાક પ્રતિબંધોનું પાલન કરવું પડશે.
મર્કેલે કહ્યું કે, આપણે હજી મહામારીના દોરમાં જીવી રહ્યા છીએ. તેમણે એપણ સ્પષ્ટ કહ્યું કે પ્રતિબંધો જલ્દી જ ખતમ થવાની અથવા ખતમ કરવાની વાતો પર અત્યારે જરાય ધ્યાન ન આપવું જોઈએ. તેમણે આ વાવત એ સવાલોના જવાબમાં કહી કે જેમાં તેમને પત્રકારો દ્વારા લોકડાઉન ખતમ કરવા વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. માનવામાં આવી રહ્યું હતું કે 19 એપ્રિલથી આને ચરણબદ્ધ રીતે હટાવવામાં આવશે પરંતુ મર્કેલે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટ કરી દીધું છે કે, 19 એપ્રિલ બાદ પણ પ્રતિબંધોને હટાવવા મામલે કોઈ વિચાર નહી કરવામાં આવે.
