ગોટાબાયા રાજપક્ષે માલદીવ પહોંચ્યાઃ શ્રીલંકામાં ઇમર્જન્સી

કોલંબોઃ શ્રીલંકામાં વડા પ્રધાનની ઓફિસે દેશમાં ઇમર્જન્સી લગાવવાની જાહેરાત કરી છે. જેથી દેખાવકારોએ વડા પ્રધાનની ઓફિસને ઘેરી લીધી હતી. પોલીસ દેખાવકારોને રોકવા માટે ટિયર ગેસ છોડી રહી છે, પણ દેખાવકારો બેકાબૂ થઈ રહ્યા છે. પશ્ચિમી પ્રાંતમાં કરફ્યુ લગાવવામાં આવ્યો છે. શ્રીલંકામાં નેશનલ ટીવી પર પ્રસારણ પણ રોકી દેવામાં આવ્યું હતું.

બીજી બાજુ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને માલદીવ જતા રહ્યા છે. રાષ્ટ્રપતિ ગોટાબાયાએ વચન આપ્યું હતું કે તેઓ 13 જુલાઈએ રાજીનામું આપશે, પણ તેમની ધરપકડની વધતી આશંકાને કારણે તેઓ રાજીનામું આપતાં પહેલાં દેશમાંથી ભાગી ગયા છે. જે પછી દેખાવકારોએ ગોટાબાયાની સામે સૂત્રોચ્ચાર કર્યો હતો અને તેમના રાજીનામાની માગ કરી રહ્યા છે. સુરક્ષા દળો અને દેખાવકારોની અથડામણ થઈ હતી. દેખાવકારોને કાબૂમાં કરવા માટે પાણીનો મારો પણ ચલાવવામાં આવ્યો હતો, પણ દેખાવકારોની ઉપર એની કોઈ અસર નહોતી થઈ.

ગોટાબાયા રાજપક્ષે શ્રીલંકાની બહાર ગયા પછી ફરી એકથી દેશમાં હિંસા જોવા મળી રહી છે. રાજીનામું સોંપ્યા વિના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા છે. બીજી બાજુ ગોટબાયા રાજપક્ષેને માલદીવ ભાગી જવામાં ભારતે મદદ કરી હોવાના વહેતા થયેલા અહેવાલ સંદર્ભે ભારતીય એમ્બેસીએ સ્પષ્ટતા કરી હતી કે આ અહેવાલો નિરાધાર અને પાયાવિહોણા છે. ભારતીય એમ્બેસીએ જણાવ્યું હતું કે ભારત શ્રીલંકાની જનતાની સાથે છે.

આ પહેલાં શ્રીલંકામાં છઠ્ઠી મેએ અભૂતપૂર્વ આર્થિક સંકટ અને સરકાર સામેનાં વિરોધ પ્રદર્શનોને જોતા બે સપ્તાહ પહેલા ઇમર્જન્સી લાગુ કરવામાં આવી હતી.