ભૂતપૂર્વ PM શેખ હસીનાને કોર્ટમાં હાજર થવાનું ફરમાન

ઢાકાઃ બંગલાદેશની કોર્ટે ભૂતપૂર્વ PM શેખ હસીનાની વિરુદ્ધ ધરપકડ વોરન્ટ જારી કર્યું છે. તેઓ ઓગસ્ટમાં સત્તા પરથી દૂર થયા પછી ભારત આવી ગયાં હતાં.

બંગલાદેશના ભૂતપૂર્વ PM શેખ હસીના સામે માનવતા વિરુદ્ધના ગુનાના આરોપસર ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. તેમના પર વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા અને માનવાધિકાર ઉલ્લંઘન માટે જવાબદાર હોવાનો આરોપ છે. બંગલાદેશની કોર્ટે આ આરોપોને આધારે શેખ હસીનાની ધરપકડનો આદેશ આપ્યો છે. બાંગ્લાદેશના ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલના મુખ્ય વકીલ મોહમ્મદ તાજુલ ઇસ્લામે પત્રકારોને જણાવ્યું હતું કે કોર્ટે તેમની ધરપકડ અને 18 નવેમ્બરે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.

ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલના પ્રમુખ જસ્ટિસ મોહમ્મદ ગુલામ મુર્તુઝા મજુમદારે ટ્રિબ્યુનલની કાર્યવાહી શરૂ કરી હતી. ફરિયાદી ટીમે PM શેખ હસીના અને અન્ય 50 લોકો સામે ધરપકડ વોરંટની માગ કરી હતી. અવામી લીગ પાર્ટીનાં નેતા શેખ હસીના, 14-પક્ષ ગઠબંધનના અન્ય નેતાઓ, દેશના પૂર્વ કાયદા અમલીકરણ અધિકારીઓ અને પત્રકારો વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય અપરાધિક ટ્રિબ્યુનલમાં બળજબરીથી ગુમ થવા અને હત્યા સંબંધિત 60 થી વધુ કેસ નોંધવામાં આવ્યા છે.

મોહમ્મદ તાજુલ ઈસ્લામે જણાવ્યું હતું કે હસીનાના 15 વર્ષના શાસનમાં મોટા પાયે માનવ અધિકારોનું ઉલ્લંઘન થયું હતું. તેમણે રાજકીય વિરોધીઓને જેલમાં મોકલી દીધા. જુલાઈથી ઓગસ્ટ દરમિયાન દેશમાં થયેલા નરસંહાર અને હત્યા જેવા અપરાધો પાછળ શેખ હસીનાનો હાથ હતો. 77 વર્ષીય શેખ હસીના બાંગ્લાદેશથી ભાગી ગયા બાદથી જાહેરમાં જોવા મળ્યા નથી. ભારતમાં તેમની હાજરીથી બંગલાદેશ નારાજ છે. આ કારણોસર શેખ હસીનાનો રાજદ્વારી પાસપોર્ટ રદ કરી દેવામાં આવ્યો છે.