ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે શ્રીલંકાના શાસક પક્ષના જનરલ સેક્રેટરી ટિલ્વિન સિલ્વા અને પ્રતિનિધિ મંડળ આવ્યું. મુખ્યમંત્રીએ આ ડેલિગેશનને ગુજરાતમાં આવકાર્યું. બે દેશો વચ્ચે લાંબાગાળાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને જે વધુ ગતિ મળી છે તેમાં આ બેઠક ફળદાયી બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
તેમણે ગુજરાત પોલીસી ડ્રિવન સ્ટેટ છે ત્યારે વિવિધ સેક્ટર્સની પોલીસીઝનો લાભ શ્રીલંકા પોતાના રસ ધરાવતા સેક્ટર્સ માટે લઈ શકે તે માટે રાજ્ય સરકાર અને શ્રીલંકા વચ્ચે પરસ્પર સંકલનની હિમાયત કરી હતી. એટલું જ નહીં, વધુને વધુ ગુજરાતીઓ શ્રીલંકા પ્રવાસે જઈ શકે તે દિશામાં પણ આયોજન માટે ચર્ચા-વિમર્શ આ બેઠકમાં કર્યા હતા.
જે.વી.પી.ના જનરલ સેક્રેટરી મહાત્મા ગાંધીજી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ભૂમિ એવા ગુજરાત અને ભારતની તેમની આ પ્રથમ મુલાકાતથી તેઓ ભાવવિભોર થયાની અને ગુજરાતની પ્રગતિથી પ્રભાવિત થયાની લાગણી વ્યક્ત કરી હતી.
તેમણે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો શ્રીલંકાના કોલંબોમાં યોજાયેલા પ્રદર્શન માટે ગુજરાતે આપ્યા છે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. શ્રીયુત ટિલ્વિન સિલ્વાએ જરૂરિયાતના સમયે ભારતે હંમેશા શ્રીલંકાને ઇન્ફાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ સહિતની મદદની તત્પરતા દર્શાવી છે અને પડખે ઉભું રહ્યું છે તેની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
તેમણે ગુજરાત-શ્રીલંકાની ઔદ્યોગિક ક્ષેત્રે ભાગીદારી અંગે પણ ઉત્કૃષ્ટતા દર્શાવી હતી અને અમૂલની તેમની મુલાકાતનો ઉલ્લેખ કરીને સહકાર ક્ષેત્ર સહિતના વિવિધ સેક્ટર્સમાં ગુજરાત પાસેથી એક્સપર્ટિઝ, નોલેજ શેરિંગ અને ક્નો-હાઉ વિશે જાણવામાં ઊંડો રસ દાખવ્યો હતો. મુખ્યમંત્રીએ આગામી વાઇબ્રન્ટ સમિટ 2027માં શ્રીલંકાને પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવાનું આમંત્રણ પણ પાઠવ્યું હતું.
મુખ્યમંત્રી સાથેની આ સૌજન્ય મુલાકાત બેઠકમાં મુખ્ય સચિવ એમ. કે. દાસ, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, સચિવ અજય કુમાર અને વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.


