અમદાવાદ: રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા હજુ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે છે. મોન્સુન ટ્રફ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે. આ સમય દરમિયાન 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત મોરબી, સુરેન્દ્રનગર,પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા, ખેડા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસે માછીમારોને 24 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપી છે. આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.
રાજ્યના 212 તાલુકાઓમાં વરસાદ વરસ્યો
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 33 જિલ્લાના 212 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત સૌથી વધુ વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં 4 ઇંચ જેટલો અને ધરમપુર તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નવસારીના ખેરગામ, વલસાડના કપરાડા તેમજ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં બે ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે, તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 21 ઓગસ્ટ, 2025ની સ્થિતિએ સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 78.99 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં 78.81 ટકા, સૌરાષ્ટ્રમાં 76.36 ટકા, ઉત્તર ગુજરાતમાં 74.67 ટકા જ્યારે પૂર્વ-મધ્યમાં 71.97 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
