ગરબાનો આનંદ મોડી રાત સુધી માણી શકાશેઃ હર્ષ સંઘવી

લોકોનો મનગમતો તહેવાર નવરાત્રી આવી રહ્યો છે. ત્યારે હવે નવરાત્રીને લઈને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એક મોટી જાહેરાત કરી છે. ગુજરાતમાં હવે 12 વાગ્યા સુધી નહી પણ મોડી રાત સુધી ગરબા રમી શકાશે કારણ કે, નવરાત્રિમાં ગરબા રમવાને લઈ ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી છે. આ ઉપરાંત નાના વેપારીઓ મોડી રાત સુધી વેપાર કરી શકશે અને પોલીસ તેમની ફરજનું જોડે જોડે પાલન પણ કરશે. સાથે સાથે પોલીસને સૂચનાઓ પણ આપવામા આવી છે. નાગરિકો પણ જવાબદારી નિભાવે અને કોઈને તકલીફ ના પડે તેવું કામ કરે, લોકો હેરાન ન થાય તેની જવાબદારી નાગરિકોની રહેશે તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.

મળતી માહિતી મુજબ, ગુજરાતમાં મોડી રાત સુધી ગરબા રમવા માટે હર્ષ સંઘવીએ લીલીઝંડી આપી છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાતીઓ ગરબા નહી રમે તો કોણ રમશે? ત્યારે આ જાહેરાત થતાની સાથે જ ખેલૈયાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વધુમાં પોલીસને નાગરિકો સહકાર આપે તેવી અપીલ હર્ષ સંઘવીએ કરી છે અને મોડી રાત સુધી વેપારીઓ વેપાર કરી શકશે અને ખેલૈયાઓને મોડી રાત સુધી નાસ્તો પણ બજારમાંથી મળી રહેશે.

વધુમાં ગૃહમંત્રીએ અપીલ કરી છે કે, નવરાત્રીના સમય દરમિયાન તમે જ્યાં ગરબા રમવા જવાના હોય તેનું એડ્રેસ અને જેમની સાથે જવાના હોય એ સાથીદારો/મિત્રોના મોબાઈલ નંબર તમારા પરિવારજનોને આપીને ગરબા રમવા જજો. ગરબા રમવા જાઓ ત્યારે આપના મોબાઈલ ફોનના સેટિંગમાં ગૂગલ લોકેશન ફિચર હંમેશા ઓન રાખજો તેમજ અજાણી અથવા ઓછા પરિચયવાળી વ્યક્તિઓ દ્વારા ઓફર કરાયેલા પીણાં, કોલ્ડ ડ્રિક્સ કે ખાધ્ય પદાર્થ ખાશો નહીં. અપરિચિત વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયા પર વ્યક્તિગત બાબતો, ફોટોગ્રાફ્સ કે વીડિયો શેર કરશો નહીં તેમજ અજાણી વ્યક્તિ સાથે એકાંતવાળી જગ્યાએ જશો નહી.