અમદાવાદ ક્રિપ્ટો કાંડમાં ઝોન-1 સ્કવોડ પોલીસ વિવાદમાં!

અમદાવાદ પોલીસનો વઘુ એક તોડકાંડ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ક્રિપ્ટો કરન્સીનો એક સોદો થયો અને સીજી રોડ ઉપર આંગડિયા પેઢીમાં 20 લાખ રૂપિયાનું ચૂકવણું થાય ત્યાં ઝોન-1 સ્કવોડ પોલીસ પહોંચી હતી. ક્રિપ્ટો કરન્સીનો સોદો કરનાર અશોક નામનો શખ્સ અને પોલીસે પાંચ લાખ તેની પાસેથી લીધાનું રહસ્ય પણ ઘેરાયું છે. ચોંકાવનારી બાબત એ છે કે, એક મહિના પહેલાં નવરંગપુરામાં જ તોડ અંગે બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયાં હતાં. ત્યારે હવે ઝોન-1 સ્કવોડ સામે આક્ષેપો થયાં છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમદાવાદના અશોક નામના એક શખ્સે છેલ્લા એક-દોઢ વર્ષથી સુદર્શનભાઈ નામના વેપારી સાથે મિત્રતા કેળવી 50 લાખાના રોકાણ સામે 60 લાખ કમાવાની લાલચ આપી હતી. જેમાં એક વ્યક્તિને પૈસાની જરૂરત હોવાથી ૩0 લાખની ક્રિપ્ટો કરન્સી 20 લાખમાં વેચવાની હોવાની વાત કરાઈ હતી. સુદર્શનભાઈએ પોતાના વોલેટમાં યુ.એસ.ડી.ટી. આવે તે પછી જ 20 લાખ આપશે તેવી વાત કરી હતી.  વોલેટમાં ક્રિપ્ટો કરન્સી આવે તેની રાહ જોવાઈ રહી હતી ત્યાં મયૂર, અમીત સહિતના પોલીસ કર્મચારીઓ આવ્યાં હતાં. આંગડિયા પેઢીથી 20 લાખ રૂપિયા સાથે સુદર્શનભાઈ અને અશોકને નવરંગપુરા પોલીસ સ્ટેશનના ઉપરના માળે લઈ જવાયાં હતાં. ઝોન-1 સ્કવોડની ઓફિસમાં પીએસઆઈ જેવા દેખાતાં એક અધિકારી પાસે બન્નેને 20 લાખ રૂપિયા સાથે રજૂ કરવામાં આવ્યાં હતાં. કંઈક અજૂગતું થશે તેવી આશંકાથી સુદર્શનભાઈએ પોતાના ઓળખિતાઓને ફોન કર્યા હતા. દબાણ સર્જાતાં અશોકે જ ઝોન-1 સ્કવોડને જવા દેવા માટેની ભલામણ કરવા સાથે સુદર્શનભાઈને 20 લાખ પરત અપાવવા ખાતરી આપી હતી. બદલામાં અશોક રૂા. પાંચ લાખ ચૂકવે તેવી માગણી કરાઈ હતી. અગાઉ નવરંગપુરામાં કામ કરી ચૂકેલા અને હાલ વેજલપુરમાં કાર્યરત પોલીસ કર્મચારીને મઘ્યસ્થી બનાવીને પાંચ લાખ રૂપિયાનો હવાલો અપાયો હતો. આ પ્રકારે અશોક પાસેથી પાંચ લાખ મેળવાયાં હતાં.

જો કે, ત્રણ દિવસ સુધી પૈસા પરત આવ્યાં નહોતાં અને અશોકે પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો. આખરે, વેપારી સુદર્શનભાઈએ પોલીસ કમિશનર કચેરીમાં પોતાની સાથે તોડબાજી થયાની રજૂઆત કરતાં પોલીસ કમિશનર દ્વારા ડીસીપી કક્ષાના અધિકારી દ્વારા તપાસના આદેશ કરવામાં આવ્યાં છે. ચાર દિવસ અગાઉના ઘટના ક્રમમાં ક્રિપ્ટો કરન્સી લેવા આવેલા વેપારીના 20 લાખ રૂપિયા હાલમાં કોની પાસે છે? તે તપાસનો મુદ્દો છે. વોલેટમાં યુએસડીટી આવે તે પછી 20 લાખ ચૂકવવાની તૈયારી વેપારીએ બતાવી હતી અને આંગડિયા પેઢીએ હતા. આ જ વેપારી પાસે 20 લાખ છે અને ક્રિપ્ટો કરન્સીનો સોદો છે તેની વિગતો પોલીસને કઈ રીતે ખબર પડી? 20 લાખ રૂપિયા પરત મળ્યાં નથી અને અશોકે પાંચ લાખ આપવાના છે તેનો હવાલો વેજલપુરના પોલીસ કર્મચારીએ શા માટે લીધો? પોલીસે 20 લાખ પરત આપવા ખાતરી આપ્યા પછી પૈસા ક્યાં ગયા? ખરેખર પચ્ચીસ લાખ ચાઊં થયાં કે મિલીભગત હોવાથી 20 લાખ ચાઊં કરવા અશોકના પાંચ લાખ લેવાયાનું નાટક થયું?