ગુજરાતમાં વધુ બે લાયન સફારીને મળી મંજૂરી..

જંગલનો રાજા અને ગુજરાતનું ગૌરવ માત્ર સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. સમગ્ર એશિયામાં ગીરના જંગલમાં જોવા મળતા સિંહ હવે ગુજરાતના અન્ય વિસ્તારમાં પણ જોવા મળશે. પાછલા થોડા સમયથી સિંહોની વસ્તીમાં પણ નોંધપાત્ર વધારો નોંધાય રહ્યો છે. ત્યારે સિંહોનું ગીરના જંગલ સિવાય પણ વસાવાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સિંહ તો જંગલનો રાજા છે એમને તો ગીરનું જંગલ પણ ટૂંકુ પડે. ઉનાળાના સમયમાં સિંહો લટાર મારતા રાજકોટ ગોંડલ સુધી ધસી આવતા હોય છે. ત્યારે હવે કચ્છના નારાયણ સરોવર પાસે અને ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક નલિયા માંડવી વિસ્તારમાં લાયન સફારીને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા મંજુરી અપાયાની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે.

મળતી માહિતી અનુસાર નારાયણ સરોવર પાસે આશરે 300 હેક્ટર જમીનમાં લાયન સફારી પાર્ક સાકાર થશે. તેનો હેતુ પ્રવાસનને  પ્રોત્સાહન સાથે બ્રીડીંગ સેન્ટર માટેનો પણ છે. લાયન સફારી સાકાર થયા બાદ સિંહ, દિપડાં સહિતના પ્રાણીઓ મંજુરી મેળવીને તેમાં વિહરતા જોઈ શકાશે. જ્યારે ઉના ગીર જંગલને અડીને આવેલો વિસ્તાર છે અને ત્યાં પણ લાયન સફારી બનશે. હાલ જુનાગઢના દેવળીયા વિસ્તારમાં લાયન સફારી ધમધમે છે આ પહેલા રાજકોટમાં લાલપરી-રાંદરડા તળાવ કાંઠે રમણીય વિસ્તારમાં આવેલા ઝૂને અડીને ખુલ્લી જમીનમાં લાયન સફારી બનાવવા ઝૂ ઓથોરિટીએ મંજુરી મહાપાલિકાને આપી છે.

સૌરાષ્ટ્રમાં જુનાગઢ  પછી રાજકોટમાં પણ બ્રીડીંગ સેન્ટર છે અને આજ સુધીમાં 50થી વધુ સિંહોનો અહીં જન્મ થયો છે, હાલ ઝૂમાં કૂલ 12 સિંહો છે. રાજકોટમાં ભવિષ્યમાં શરુ થનારા લાયન સફારીમાં સિંહોને શિકાર કરતા નહીં જોઈ શકાય પરંતુ, મુલાકાતીઓ તેને વાહનમાં બેસીને ખુલ્લા વિસ્તારમાં વિહરતા જોઈ શકશે.