ગોધરા-કાંડના 11 દોષીઓ માટે મોતની સજા માગશે રાજ્ય સરકાર

 નવી દિલ્હીઃ વર્ષ 2002ના ગોધરા ટ્રેનને આગ ચાંપવાના મામલે ગુજરાત હાઇકોર્ટે 11 દોષીઓની સજાને આજીવન કેદમાં પેરવી નાખી છે. હવે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે સરકાર એ દોષીઓનાં મોતની સજા આપવા માટે દબાણ વધારશે.

મુખ્ય જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ પીએસ નરસિંહા અને જેબી પારડીવાલાની પીઠે આ મામલે કેટલાય આરોપીઓની જામીન અરજીઓ પર સુનાવણી માટે ત્રણ સપ્તાહ બાદ તારીખ નક્કી કરી છે. કોર્ટે બંને પક્ષોના વકીલમાંથી એક સમકિત ચાર્ટ દાખલ કરવા માટે કહ્યું છે, જેમાં તેમને આપવામાં આવેલી વાસ્તવિક સજા અને અત્યાર સુધી જેલમાં વિતાવેલા સમયનું વિવરણ આપવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા રજૂ થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પીઠને જણાવ્યું હતું કે અમે એ દોષીઓને મૃત્યુદંડ આપવા માટે ગંભીરતાથી દબાણ કરીશું, જેમની સજાને હાઇકોર્ટે આજીવન કેદમાં ફેરવી નાખી હતી. આ સૌથી દુર્લભ મામલાઓમાંથી એક છે. જ્યાં મહિલાઓ અને બાળકો સહિત 59 લોકોને જીવતા સળગાવી દીધા હતા.

સોલિસિટર જનરલે કહ્યું હતું કે એ દરેક જણ જાણે છે કે બોગીને બહારથી બંધ કરવામાં આવી હતી, જેમાં મહિલાઓ અને બાળકો સહિત 59 લોકોનાં મોત થયાં હતાં. તેમણે કહ્યું હતું કે 11 દોષીઓને નીચલી કોર્ટે મોતની સજા સંભળાવી હતી અને 20 અન્યને આજીવન કેસ ની સજા સંભળાવી હતી.

મહેતાએ કહ્યું હતું કે હાઇકોર્ટે કુલ 31 સજાઓ યથાવત્ રાખી હતી ને 11 દોષીઓને મોતની સજા ઉંમરકેદમાં ફેરવી નાખી હતી.