રાજ્ય સરકારે કોવિડ-19ના રસીકરણના સમયમાં વધારો કર્યો

અમદાવાદઃ રાજ્ય સરકારે કોરોનાની રસી આપવાના સમયમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. હવે રસીકરણના કેન્દ્રો દૈનિક ધોરણે ત્રણ લાખના રસીકરણના લક્ષ્યાંક સાથે રાત્રે નવ કલાક સુધી કામ કરશે. ગઈ કાલે ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આને લીધે રસીકરણના વ્યાપને વિસ્તૃત કરવામાં મદદ મળશે.

વડા પ્રધાનની મુખ્ય પ્રધાન સાથે બેઠક પછી રાજ્યના મુખ્ય પ્રધાને રાજ્યમાં કોરોના કેસોની તપાસ અને રસીકરણ માટે શ્રેણીબદ્ધ પગલાં લેવાની જાહેરાત કરી છે. હાલની સ્થિતિની સમીક્ષા કર્યા પછી રાજ્ય સરકારે કન્ટેનમેન્ટ ઝોન શોધવા અને પરીક્ષણની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

ચાર વરિષ્ઠ સચિવ કક્ષાના અધિકારીઓ ચાર મોટાં શહેરો સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટની પરિસ્થિતિની દેખરેખ રાખશે, વળી જ્યાં કેસો વધ્યા ત્યાં કડક પગલાં લેવાશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી રાજ્યના ગૃહ વિભાગને કોવિડ-19 પ્રોટોકોલના કડક અમલ માટે આદેશ આપ્યો છે, જેમાં ફરજિયાત માસ્ક અને સામાજિક અંતરનો સમાવેશ થાય છે. અમદાવાદની સિટી બસ સેવા, સ્પોર્ટ્સ ક્લબ, જિમ અને બગીચા આગામી ઓર્ડર સુધી બંધ રહેશે.