ઝૂલતો પૂલ દુર્ઘટનાઃ પટેલે આગોતરા જામીન અરજી કરી

મોરબીઃ શહેરમાં ઝૂલતા પુલ દુર્ઘટના મામલે ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલે મોરબી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. આ મામલે સુનાવણી આવતી કાલે થશે. જોકે આ કેસના FIRમાં જયસુખ પટેલનું નામ નથી. જોકે પોલીસ ગણતરીના દિવસોમાં કોર્ટમાં  ઘટનાક્રમ સાથે ચાર્જશીટ દાખલ કરવાની છે.આ કેસમાં ધરપકડથી બચવા માટે જયસુખ પટેલ કોર્ટના આગોતરા જામીન અરજી દાખલ કરી છે. આ કેસમાં હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢ્યા બાદ સરકાર અચાનક જાગી હતી અને કોર્ટે આપેલા નિર્દેશો પ્રમાણે કાર્યવાહી શરૂ કરી દીધી છે. રાજ્યમાં પુલોની તપાસમાટે સરકારે કામગીરી હાથ ધરી છે.  હાઇકોર્ટે રાજ્યમાં ક્ષતિગ્રસ્ત અથવા તો રિપેરિંગ માગતા હોય તેવા પુલને તાત્કાલિક મરામત કરવા સરકારને આદેશ આપ્યા છે. ત્યાર બાદ  આ પ્રકારના પુલ જ્યાં સુધી રિપેર ના થાય ત્યાં સુધી સરકાર દ્વારા એ પુલને બંધ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય સિંહ ઝાલાને ચાર્જશીટ આપવામાં આવી છે. જ્યારે મોરબી નગરપાલિકાને ડિઝોલ્યુશનની કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.રાજ્ય સરકારે મોરબી નગરપાલિકાને નોટિસ આપીને સવાલ કર્યો હતો કે ગયા વર્ષે ઓક્ટોબરમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો હોવાથી ચૂંટાયેલી સંસ્થાનું વિસર્જન કેમ ના કરવું જોઈએ. સરકારે નોટિસમાં કહ્યું હતું કે નગરપાલિકા તેની ફરજો પૂરી કરવામાં નિષ્ફળ રહી છે, જે આ પુલ દુર્ઘટનાથી સાબિત થાય છે. આ ઘટનામાં 135 લોકોનાં મોત થયાં છે અને 56 લોકોને ઈજા પહોંચી છે. આ નોટિસનો જવાબ આપવા માટે નગરપાલિકાને એક સપ્તાહનો સમય આપવામાં આવ્યો હતો.