સ્ટોન આર્ટીસન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ(SAPTI) દ્વારા ‘શિલ્પોત્સવ’

અમદાવાદ: અંબાજીને શિલ્પકલાનું વિશ્વવિખ્યાત કેંદ્ર બનાવવા, સ્ટોન આર્ટીસન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (SAPTI) શિલ્પોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પથ્થરને કોતરવાની શિલ્પકલા (સ્ટોન સ્કલ્પચર) અંગે નિષ્ણાતો દ્વારા ચર્ચા-ગોષ્ઠી કરવામાં આવશે. આ સિમ્પોઝિયમ સામાન્ય લોકો માટે પથ્થરની કોતરણી અને શિલ્પ તૈયાર કરવાની સંપૂર્ણ પ્રક્રિયાને જોવા-જાણવાનો એક મંચ બની રહેશે. પથ્થરના શિલ્પોની મહાન ભારતીય પરંપરા અંગે જાગૃતિ લાવવામાં અને અંબાજીના સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વને ઉજાગર કરવામાં આ કાર્યક્રમ-સિમ્પોઝિયમ મહત્વની ભૂમિકા ભજવશે.

સિમ્પોઝિયમની વિવિધ થીમ રાખવામાં આવી છે. જેમાં આધ્યાત્મિકતા, યોગ, માનવ આત્માની સાંકેતિક રજૂઆત, હિંમત, આકાંક્ષાઓ, ભૂમિતિની અભિવ્યક્તિ, કાર્યક્ષમતા અને શિલ્પ, સ્થાપત્ય અને શિલ્પના વિભિન્ન સ્વરૂપોનું મિશ્રણ, પંચ તત્ત્વો, તહેવારો ગુજરાતમાં પથ્થરની સાઇટ વગેરેનો સમાવેશ થાય છે.

૨૦મી જુલાઈથી ૮મી ઑગસ્ટ ૨૦૨૨ સુધી અંબાજી ખાતે SAPTI અંબાજી અને GMDC મેદાનમાં બીજું સિમ્પોઝિયમ- શિલ્પકૃતિ ચાલુ છે. શિલ્પકૃતિ સ્ટોન સ્કલ્પચર સિમ્પોઝિયમમાં પંજાબ, ચંદીગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, ગુજરાત, ચંદીગઢ તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત શિલ્પકારો ભાગ લઇ રહ્યા છે. આ ઉપરાંત, શિલ્પકારો સાથે સામાન્ય જનતા વાર્તાલાપ કરી કંઇક નવું જાણે, પથ્થરની કોતરણી વિશેની આપણી મહાન ભારતીય પરંપરાથી લોકો અવગત થાય તેવા શુભ આશયથી આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.

SAPTIના ડાયરેક્ટર વીણા પાડિયાએ જણાવ્યું હતું કે, સિમ્પોઝિયમનો પ્રાથમિક ઉદ્દેશ્ય ભારતીય કલા અને સંસ્કૃતિ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. આ પ્લેટફોર્મ નવા યુગના શિલ્પકારોને પ્રોત્સાહિત કરશે. કુશળ કલાકારો તેમના વિચારોને શિલ્પના માધ્યમથી વ્યક્ત કરીને વિશ્વને પ્રેરણા આપશે. બીજી સિમ્પોઝિયમ શ્રેણી મહાન ભારતીય પથ્થરો વિશે કલાકારોની સમજને વધું વ્યાપક અને ઊંડી કરશે.

વિણાએ વધુમાં કહ્યું કે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શિલ્પકારોને પ્રોત્સાહિત કરવા ‘શિલ્પકૃતિ’ જેમ જ, ‘શિલ્પ શિલા’ અને ‘શિલ્પ સંગમ’ નામે વિવિધ પરિસંવાદોનું આયોજન કરવામાં આવશે. કલાનું સંવર્ધન કરવા માટે, SAPTIની નજીકમાં GMDC ગ્રાઉન્ડની આસપાસ ત્યજી દેવાયેલી માર્બલ ખાણોના ૧૦ એકર પ્રોજેક્ટ વિસ્તારમાં ‘ઇમર્જિંગ સ્ટોન અને સ્કલ્પચર મ્યુઝિયમ’ બનાવવાની યોજના છે. આ મ્યુઝિયમમાં ઈન્ટરપ્રિટેશન સેન્ટર, એક્સપિરિયન્સ સેન્ટર અને ભારતની શિલ્પજ્ઞાન વિરાસતને દર્શાવતી ટેક્નોલોજી દ્વારા વિવિધ થીમ સાથે ઓપન ગેલેરીઓનો સમાવેશ કરવામાં આવશે.

સ્ટોન આર્ટીસન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (SAPTI)ની સ્થાપના ૨૦૦૯માં ઉદ્યોગ અને ખાણ વિભાગ અને ભૂસ્તરશાસ્ત્ર અને ખાણ કમિશનરની કચેરી (ગુજરાત સરકાર) દ્વારા ગુજરાત રાજ્ય ખનિજ નીતિ, ૨૦૦૩ હેઠળ યુવાનોને વ્યાવસાયિક પથ્થર કલાની તાલીમ આપવા માટે કરવામાં આવી છે. પથ્થરની કળા અને સ્થાપત્યના તેના મૂલ્યવાન વારસાને આ સંસ્થા આગળ ધપાવી રહી છે.