દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટી માટે 50 ટકા રાહતભાવે જમીન ફાળવાશે

ગાંધીનગર- રાજ્યમાં ચાલી રહેલા મહત્વપૂર્ણ રેલવે પ્રોજેકટસની સર્વગ્રાહી કામગીરી સમીક્ષાને લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. આ સંદર્ભમાં બેઠકમાં જણાવવામાં આવ્યું કે, ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોરની સંપૂર્ણ કામગીરી આગામી ર૦ર૧ ડિસેમ્બર પહેલાં પૂર્ણ કરી દેવાશે. આ પ્રોજેકટનો પ્રથમ તબક્કો માર્ચ-ર૦ર૦માં કાર્યરત થઇ જશે.

રેલવે પ્રોજેકટસની સર્વગ્રાહી સમીક્ષા…  

મુખ્યપ્રધાને રાજ્યના મહત્વપૂર્ણ પ્રોજેકટસ અંગે કેન્દ્રના સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા-બેઠક યોજીને પ્રોજેકટમાં ગતિ લાવવાના નવતર અભિગમ રૂપે ગાંધીનગરમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિશ્વ પ્રવાસન ધામ તરીકે વિકાસ થઇ રહ્યો છે ત્યારે વડોદરાથી કેવડીયાની રેલવે કનેકટીવીટી માટે રાજ્ય સરકારે જમીન સંપાદન અંગે તેમજ અન્ય સહયોગ આપ્યો છે તે અંગેની વિગતો બેઠકમાં મેળવી હતી. આ મહત્વાકાંક્ષી રેલવે લાઇન પ્રોજેકટ ત્વરાએ પૂર્ણ થાય તે માટે રેલ્વે તંત્રના અધિકારીઓને સૂચન પણ કર્યુ હતું.

વડોદરા ખાતે નિર્માણાધીન દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટી માટે ગુજરાત સરકાર પ૦ ટકા રાહત ભાવે જમીન ફાળવશે તેવો નિર્ણય મુખ્યપ્રધાનેઆ બેઠકમાં કર્યો હતો. મુખ્યપ્રધાને તાજેતરમાં જ ગાંધીનગર રેલવે સ્ટેશનની મુલાકાત લઇ રીડેવલપમેન્ટ પ્રોજેકટનું જાતનિરીક્ષણ કર્યુ હતું. આ સંદર્ભમાં પણ રૂપાણીએ રેલવે તંત્રવાહકો સાથે કામગીરી સમીક્ષા કરી આગામી ર૦ર૦ના મધ્ય સુધીમાં પ્રોજેકટ પૂર્ણ કરવા તાકીદ કરી હતી. રેલવે તંત્રના વરિષ્ઠ અધિકારીઓએ પણ આ કામગીરીમાં વેગ લાવીને નિર્ધારીત સમયમાં પૂર્ણ કરી દેવાની ખાતરી આપી હતી.

સૂરત રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટ અંગેના વિવિધ પાસાંઓની ચર્ચા-વિચારણા પણ આ ઉચ્ચસ્તરીય બેઠકમાં હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી પણ ફાસ્ટ ટ્રેક પ્રોજેકટ તરીકે ઉપાડી લેવા બેઠકમાં સૂચવ્યું હતું. આ બેઠકમાં રાજ્ય સરકાર અને રેલ્વે બોર્ડના વરિષ્ઠ અધિકારીઓએ પરસ્પર સંકલનથી કામગીરીમાં વેગ લાવવા કરેલા નિર્ણયોને પગલે ગુજરાતને દેશના વિકાસનું રોલ મોડેલ પ્રસ્થાપિત કરવાની દિશામાં વધુ ગતિ આવશે.