સેતલવાડે FIR રદ કરાવવા માટે હાઇકોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં

અમદાવાદઃ સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડે 2002ના રમખાણો મામલે ખોટા સાક્ષીઓને આધારે અમદાવાદ અપરાધ શાખા દ્વારા તેમની વિરુદ્ધ FIR રદ કરવાની વિનંતી કરતાં હાઇકોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે. હાલમાં એક સેશન કોર્ટે આ મામલે સેતલવાડને આરોપમુક્ત કરવા માટેની આગ્રહ કરતી તેમની અરજીને ફગાવી દીધી હતી, જ્યારે હાઇકોર્ટે તેમને રાહત આપવાનો ઇનકાર કર્યા પછી તેમણે આ મામલે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાંવ્યાં હતાં.

તિસ્તા સેતલવાડ સામે સહ આરોપીઓ સાથે મળીને કાવતરું ઘડવાનો આક્ષેપ છે, જેમાં તિસ્તા સેતલવાડ સામે ગુજરાતમાં વર્ષ 2002નાં કોમી રમખાણોમાં તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી, અન્ય નેતાઓ સામે ખોટા પુરાવા અને સાક્ષીઓ ઊભા કરવાનો આક્ષેપ છે. આવા કાવતરાથી નિર્દોષ લોકોને મૃત્યુદંડની સજા થાય તેવી શક્યતાઓ હતી.

આ કેસમા આરોપીઓ વિરુદ્ધ સેશન્સ કોર્ટમાં ચાર્જફ્રેમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે અગાઉ તિસ્તા સેતલવાડની આ કેસમાંથી ડિસ્ચાર્જ અરજી સેશન્સ કોર્ટ ફગાવી ચૂકી છે. તો હાઈકોર્ટ દ્વારા પણ તિસ્તા સેતલવાડના જામીન ફગાવાઈ ચૂક્યા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા તિસ્તા સેતલવાડને રાહત અપાઈ છે.

હાલ તિસ્તાએ FIR રદ કરવાની વિનંતી કરતાં હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે અને આ કેસની સુનાવણી ટૂંક સમયમાં થવાની સંભાવના છે. તિસ્તા સેતલવાડે હવે એડવોકેટ એસ.એમ. વત્સ મારફતે પોતાની સામેની અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ક્રાઇમ બ્રાન્ચે કરેલ ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં અરજી કરી છે. જેની પર આગામી સમયમાં સુનાવણી હાથ ધરાઈ તેવી શક્યતા છે.