સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ..

ગુજરાતમાં હવામાન વિભાગ પ્રમાણે સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. અમદાવાદમાં પણ નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે શહેરમાંથી પસાર થતી સાબરમતી નદીમાં જુલાઇ માસના અંતે જ પાણી આવ્યું છે. ત્યારે ઉપરવાસમાં અને ગાંધીનગરમાં પણ સારો વરસાદ પડવાને પગલે નદીમાં પાણીની આવક થઇ છે. વરસાદના પગલે નદીમાં અઢીથી ત્રણ ફુટ પાણી આવી ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સંત સરોવરમાં પણ પાણી પહોંચી ગયું છે. આ ઉપરાંત આવનારા દિવસોમાં ધરોઇમાંથી પાણી છોડવામાં આવશે તો નદીમાં પાણીની આવક વધશે.

ગાંધીનગર, અમદાવાદ સહિત માણસાના ઉપરવાસમાં પણ મેઘમહેર થઇ છે, જેના કારણે સાબરમતી નદીમાં નવા નીર આવ્યા છે. સમગ્ર ગુજરાતની સાથે સાબરમતી નદીની ઉપરવાસમાં સાબરકાંઠા, બનાસકાંઠા વિસ્તારમાં પણ સારો એવો વરસાદ પડવાથી સાબરમતી નદીમાં જુલાઇ માસના અંતે બે કાંઠે પાણી વહેતું જોવા મળી રહ્યું છે. વરસાદને કારણે સાબરમતીમાં પાણી આવતા લોકોમાં આનંદની લાગણી ફેલાઇ છે. પાણીના વધામણા કરવા નદી કિનારે લોકોના ટોળા ઉમટેલા જોવા મળ્યા હતા. પાણી જોવા માટે પુલ ઉપર પણ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.

પાણીના આવકના પગલે વહિવટી તંત્ર દ્વારા સાબરમતી નદી કિનારાના ગામોને એલર્ટ કરી દીધા છે. ત્યારે સાબરમતી નદીમાં આવેલુ પાણી લાકરોડાના બેરેજમાં પણ સંગ્રહ કરવામાં આવી રહ્યું છે. તો બીજી બાજુ સંતસરોવરમાં પણ વરસાદી પાણીની આવક વધી છે, અને લાકરોડાથી પાણી સંતસરોવર પણ પહોંચી ગયું છે. ત્યારે અહીંના તમામ દરવાજા બંધ કરીને પાણીનો સંગ્રહ કરવામાં આવશે. હાલની સ્થિતિએ 1500 ક્યુસેક જેટલું સામાન્ય જ પાણી આવ્યું હોવાનું જણાવા મળી રહ્યું છે. આ પરિસ્થિતિમાં હવે ભારે વરસાદ પડવાની સાથે પાણીની આવક વધશે તો સંત સરોવરમાં પાણીની સપાટી ઉંચી આવશે.