રાજસ્થાનમાં ભયાનક અકસ્માતમાં ભાવનગરનાં 11 જણનાં કરૂણ મરણ

ભરતપુરઃ રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં જયપુર-આગરા હાઈવે પર આજે વહેલી સવારે લગભગ 5.30 વાગ્યાના સુમારે થયેલા ભયાનક અકસ્માતમાં 11 જણના જાન ગયા છે અને બીજાં 12 જણ ગંભીર રીતે ઘાયલ થયાં છે. એક ટ્રેલર ટ્રકે એક બસને ટક્કર મારતાં મોતનું તાંડવ સર્જાયું. ભોગ બનેલાં લોકો ગુજરાતના ભાવનગરનાં રહેવાસીઓ હોવાનો અહેવાલ છે. બસ ભાવનગરની ખાનગી ટ્રાવેલ કંપનીની હતી. ટ્રેલર-બસની અથડામણ એટલી બધી ભયંકર હતી કે બંને વાહનનાં ફૂરચાં ઉડી ગયા હતા. અહેવાલો અનુસાર, બસ હાઈવે પર ઊભી હતી ત્યારે ટ્રેલર-ટ્રકે એને પાછળથી જોરદાર રીતે ટક્કર મારી હતી.

અહેવાલો અનુસાર, ગુજરાતના ભાવનગરમાં રહેતાં લોકો બસમાં સવાર થયાં હતાં જેઓ ઉત્તર પ્રદેશના મથુરા અને વૃંદાવન તરફ જતાં હતાં. ઘાયલ થયેલાઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. એમાંના કેટલાકની હાલત ગંભીર છે અને મરણાંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અકસ્માતના સ્થળના ભયંકર દ્રશ્યોની તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પર જોવા મળી રહ્યા છે.

પોલીસના જણાવ્યા મુજબ, બસમાં કોઈક ટેક્નિકલ ખામી જણાતાં ડ્રાઈવરે બસને રસ્તાની બાજુએ ઊભી રાખી હતી અને ડ્રાઈવર તથા બીજાં કેટલાંક લોકો નીચે ઉતર્યાં હતાં. એવામાં ધસમસતી આવેલી ટ્રક એમની સાથે અથડાઈ હતી. રસ્તા પર ઉતરેલા લોકોને કચડી નાખ્યા હતા. બસમાં કુલ 57 જણ હતાં. તેઓ ગઈ કાલે રાતે પુષ્કરથી મથુરા જવા રવાના થયા હતા.

મૃતકોમાં અંતુભાઈ ગયાની, નંદરામભાઈ ગયાની, લાલુભાઈ ગાની, ભરતભાઈ, લાલજીભાઈ, અંબાબેન, કંકુબેન, રામુબેન, મધુબેન ડાગી, અંજુબેન, મધુબેન ચુડાસમાનો સમાવેશ થાય છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અકસ્માત અંગે દુઃખ અને આઘાતની લાગણી વ્યક્ત કરી છે.