PM મોદી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની ઉજવણીમાં હાજર રહેશે

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદી બે દિવસ માટે ગુજરાતના મુલાકાતે છે. તેઓ તેમની મુલાકાત દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનાં 20 વર્ષની ઉજવણી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે અને રાષ્ટ્રને સંબોધન કરશે. આ સિવાય તેઓ કરોડો રૂપિયાના અનેક પ્રોજેક્ટોનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે.

વડા પ્રધાન મોદી જ્યારે રાજ્યના મુખ્ય પ્રધાન હતા, ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2003માં શરૂ થઈ હતી. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO Office) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 27 સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યે PM મોદી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનાં 20 વર્ષ પૂરા થવાની ઉજવણીમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ બપોરે છોટા ઉદેપુરના બોડેલી જશે, ત્યાં તેઓ રૂ. 5200 કરોડથી વધુના પ્રોજેક્ટો રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે.

વડા પ્રધાન સાયન્સ સિટીમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે.  આ ઉપરાંત આ કાર્યક્રમમાં ઉદ્યોગ સંગઠનો, વેપાર અને વાણિજ્ય ક્ષેત્રની અગ્રણી હસ્તીઓ, યુવા સાહસિકો, ઉચ્ચ અને તક્નિકી શિક્ષણ કોલેજોના વિદ્યાર્થીઓ સહિત અન્ય લોકો પણ હાજર રહેશે.

વડા પ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ કાર્યક્રમ હેઠળ રૂ. 4500 કરોડથી વધુના કેટલાક પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે અને એની આધારશિલા મૂકશે. વડા પ્રધાન રાજ્યની સ્કૂલોમાં બનાવવામાં આવેલા હજારો નવા ક્લાસરૂમ, સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ, STEM-  સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ- અને અન્ય પાયાના માળખાને રાષ્ટ્રને સમર્પિત કરશે.

વડા પ્રધાન વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2ની આધારશિલા મૂકશે. આ કેન્દ્રોની બધા જિલ્લાઓમાં સ્થાપના કરાશે. વડા પ્રધાન વડોદરામાં નબળા વર્ગના લોકો માટેના આશરે 400 નવાં ઘરો સહિત રાજ્યનાં 7500 ગામોમાં વાઇફાઇ પ્રોજેક્ટ અને નવાં ઘરો રાષ્ટ્રને સમર્પિત કરશે.