આર્થિક અનામતથી સામાજિક સમરસતા વધશેઃ PM મોદીએ અમદાવાદમાં જનસભા સંબોધી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રિદિવસી પ્રવાસે આવી પહોંચતાં જ તેમના વિવિધ કાર્યક્રમો પ્રારંભ થઈ ગયાં હતાં. સાંજે 4 કલાકે વીએસ હોસ્પિટલ સંકુલમાં 750 કરોડના ખર્ચે બનાવાયેલી નવી એસવીપી હોસ્પિટલના લોકાર્પણ બાદ તેઓએ વીએસ હોસ્પિટલની પાછળના રિવરફ્રન્ટ તરફ બનાવાયેલાં વિશાળ ડોમમાં ઉપસ્થિતોનો સંબોધન કાર્યક્રમ યોજાયો હતો.પીએમ મોદી સભાસ્થળે આવ્યાં ત્યારે તેમની સાથે સીએમ રુપાણી અને નાયબ સીએમ નિતીન પટેલ પણ જોડાઈ ગયાં હતાં. આમંત્રણ પત્રિકામાં નિતીન પટેલનું નામ ન હોવા સાથે શરુઆતમાં પણ નિતીન પટેલ પીએમના કાફલા સાથે દેખાયાં ન હોવાથી હવે તેમની હાજરીની નોંધ લેવાઇ રહી હતી. જોકે નિતીન પટેલે આ પહેલાં જણાવ્યું હતું કે તેમનું નામ આમંત્રણ પત્રિકામાં હોય કે ન હોય તો મહત્ત્વનું નથી. જેને લઈને અનેક ચર્ચાઓ સાંભળવા મળી રહી હતી. આજના આ પ્રસંગને લઈને નાયબ સીએમ અને સીએમ રુપાણીએ નવી એસવીપી હોસ્પિટલના નિર્માણ, આરોગ્ય સુખાકારી માટે સરકારની ચિંતા, હોસ્પિટલની અત્યાધુનિક સુવિધાઓ વગેરેની માહિતી ઉપસ્થિતોને આપતાં કોર્પોરેશનના હોદ્દેદારો અને અધિકારીઓને અભિનંદન આપ્યાં હતાં.

પીએમ મોદીના વક્તવ્યના અંશ…

પહેલાં હિન્દીમાં પ્રાસંગિક સંબોધન કરી કેમ છો..પૂછી જનતાનું અભિવાદન ગુજરાતીમાં કર્યું

બાદમાં હિન્દીમાં સંબોધન શરુ કર્યું…નવા વર્ષમાં આ મારી ગુજરાતની પહેલી મુલાકાત છે.

તહેવારનો આનંદ ત્યારે જ આવે છે જ્યારે પરિવારનું સ્વાસ્થ્ય સારું હોય. આજે ગુજરાતની જનતાને વિશ્વસ્તરીય મોટી આરોગ્ય સુવિધાઓ લોકાર્પિત કરવાનો મોકો મને મળ્યો તેનો આભાર માનું છું.

સરદાર પટેલનો આત્મા જ્યાં હશે ત્યાં અમદાવાદનો ફૂલ્યોફાલ્યો વિકાસ અને આધુનિક હોસ્પિટલ સુવિધા નિહાળી આનંદ પામતો હશે

આ હોસ્પિટલનું મેં નિરીક્ષણ કર્યું તેની સુવિધાઓ નિહાળું હું મંત્રમુગ્ધ થયો છે.

આ હોસ્પિટલ આગવું મહત્ત્વ ધરાવે છે. 2011-12ના આ પ્રોજેક્ટ વિશે જાતજાતની વાતો થતી હતી. ત્યારથી આ પ્રોજેક્ટ સાથે જોડાયેલાં સૌને અભિનંદન પાઠવું છું.

આ હોસ્પિટલ પહેલી એવી સરકારી કોર્પોરેશન હોસ્પિટલ છે જ્યાં એરલિફ્ટની સુવિધા છે.

અમે નવી હોસ્પિટલો ખોલવા સહિત મેડિકલ સીટો વધારવા પર પણ ધ્યાન આપ્યું છે. ગુજરાત આજે અન્ય રાજ્યો કરતાં વધુ સુવિધાઓ પૂરી પાડવા માટે સક્ષમ બન્યું છે.

વિદેશથી લોકો સ્વાસ્થ્ય સુવિધા માટે ગુજરાત આવે છે ત્યારે આ હોસ્પિટલનો લાભ લઈ દેશવિદેશના લોકો લાભાન્વિત થશે.

મોંઘી ચકાચૌંધવાળી હોસ્પિટલોમાં જતાં સામાન્ય માણસ ગભરાય છે ત્યારે એવી જ આ હોસ્પિટલમાં ગરીબનો મફતમાં ઇલાજ થશે.

કેટલાક લોકો આયુષ્યમાન ભારત યોજનાને મોદી કેર પણ કહે છે તે યોજનામાં દરરોજ, 10,000 ગરીબોને મફતમાં ઇલાજ મળી રહ્યો છે.

જનઔષધિ કેન્દ્ર ઝૂંબેશ હેઠળ દેશમાં 5000 કેન્દ્ર શરુ થઈ ગઈ છે તેમાં દવાઓ સસ્તી મળતી થઈ ગઈ છે. અમે ભાવ નિર્ધારણ કર્યાં તેના કારણે દવાઓ સહિત તબીબી સાધનો સસ્તાં મળતાં થયાં છે.

દેશભરમાં સાડા ચારસો કેન્દ્રો પર મફતમાં ડાયાલિસિસ કરવાની સુવિધા આપી છે.

બીજેપીની સરકારે ગામેગામ સસ્તી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું બીડું ઉઠાવ્યું છે.

પાછલાં 4 વર્ષમાં મેડિકલ એજ્યુકેશનનો પણ અભૂતપૂર્વ વિસ્તાર કર્યો છે. 13000થી વધુ પોસ્ટ ગ્રેજેયુએટ સીટો વધારાઈ છે. મધ્યમવર્ગના પરિવારના સંતાનો જે મેજિકલમાં કેરિયર બનાવવા માગે છે તેમના માટે તકો ઉપલબ્ધ કરાવી છે.

ખાનગી હોસ્પિટલના નેટવર્કનો પણ અમે વિસ્તાર કર્યો છે. આયુષ્યમાન ભારતમાં નવા મેડિકલ પેરામેડિકલ સ્ટાફની જરુરત બની રહી છે તેથી આ ક્ષેત્રમાં નવા રોજગારના અવસર પણ મળશે

સામાન્ય વર્ગના ગરીબ બાળકોને સરકારી અને ખાનગી સંસ્થાઓમાં 10 ટકા અનામતની વ્યવસ્થા કરી છે જેનો ગુજરાતે સૌપ્રથમ અમલ કર્યો છે. અનામતની રાજનીતિ દશકોથી ચાલી રહી હતી પણ સંવિધાન સંશોધન કરવાની હિંમત તેમનામાં ન હતી, પણ કેન્દ્રની એનડીએ સરકારે તે કરી બતાવ્યું છે. કોઇપણના હિતને છેડ્યા વિના અમે આ કર્યું છે. ફરિયાદો દૂર થશે, નવી વ્યવસ્થાથી સામાજિક સમરસતાનું નિર્માણ થશે.

કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે આ વર્ષના નવા સત્રથી 40,000 કોલેજોમાં તમામ ફેકલ્ટીમાં આર્થિક અનામત લાગુ પડશે તેની ટેકનિકલ આદેશો જારી ઝડપથી જારી કરવામાં આવી રહ્યાં છે.

અવસરોના અભાવમાં કોઈ પાછળ ન રહે તે માટે સરકાર લગાતાર કામ કરી રહી છે. આ જ સબકા સાથ સબ કા વિકાસ છે અને ન્યૂ ઇન્ડિયાના નિર્માણનો અમારો રસ્તો છે.

હું તો ઇચ્છું છું કે હોસ્પિટલમાં કોઇને આવવું જ ન પડે, પણ જો આવવું પડે તો આ હોસ્પિટલની અત્યાધુનિક સુવિધાઓ સારું સ્વાસ્થ્ય મેળવી શકશે.