નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પાકિસ્તાનમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું, જે સફળ રહ્યું હતું. હવે ગુજરાત સરકારે કચ્છમાં ઓપરેશન સિંદૂરને સમર્પિત સ્મારક બનાવવાની યોજના તૈયાર કરી છે. આ સંબંધમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પાર્ક સુરક્ષા દળો પ્રત્યે સન્માન સાથે-સાથે રાષ્ટ્ર દ્વારા દર્શાવેલી એકતાનું પ્રતિબિંબ હશે.
ગુજરાત સરકાર દ્વારા આયોજન કરાયેલા આ પાર્કને ‘સિંદૂર વન’ નામ આપવામાં આવશે. તે ભારત-પાકિસ્તાન સરહદ નજીક કચ્છ જિલ્લામાં બનાવાશે, જે પાકિસ્તાન તરફથી થયેલા હુમલાઓનો ભોગ બન્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્મારક આશરે દોઢ વર્ષમાં બનાવીને તૈયાર કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે જમીન પર પ્રારંભિક કામગીરી શરૂ થઈ ગઈ છે.
કલેક્ટર આનંદ પટેલે આપી માહિતી
કચ્છના કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન સમાજ, સૈન્ય, વાયુ સેના, BSF અને અન્ય દળોએ જે એકતા દર્શાવી હતી, તેની યાદમાં વન વિભાગ દ્વારા ‘સિંદૂર વન’ તરીકે એક સ્મારક પાર્ક બનાવવાની યોજના છે.
ઓપરેશન સિંદૂર માટે બનાવાતાં ‘સિંદૂર વન’ ને ભૂજ-માંડવી માર્ગ પર મિર્ઝાપુરમાં વન વિભાગની આઠ હેક્ટર જમીન પર સ્થાપિત કરાશે. કલેક્ટર પટેલે જણાવ્યું કે આ જમીનનો તે ભાગ પણ સામેલ છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતની પોતાની પ્રથમ મુલાકાત દરમિયાન જાહેર સભા યોજી હતી.
પીએમ મોદીને આપ્યો હતો ‘સિંદૂરનો છોડ’
માધાપારની મહિલાઓએ 26 મેએ જાહેર સભા દરમિયાન વડા પ્રધાનને ‘સિંદૂરનો છોડ’ ભેટ આપ્યો હતો. આ મહિલાઓએ 1971ના યુદ્ધ દરમિયાન ભૂજ એરબેસના રનવેને 72 કલાકની અંદર મરામત કરવામાં મદદ કરી હતી. મોદીએ જણાવ્યું હતું કે તેઓ આ છોડને પીએમ હાઉસ લઈ જશે, જ્યાં તે એક ‘વટવૃક્ષ’ બની જશે.
