“નારી વંદન ઉત્સવ” સપ્તાહમાં વિવિધ કાર્યક્રમોનું આયોજનઃ વાઘાણી

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના સશક્તીકરણ માટે અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ જ દિશામાં વધુ એક નક્કર કદમ ભરી નારી સંરક્ષણ અને સન્માન માટે “નારી વંદન ઉત્સવ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ પહેલીથી સાત ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં “નારી વંદન ઉત્સવ”ની ઉજવણી કરવામાં આવશે, એમ શિક્ષણપ્રધાન જિતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.

“નારી વંદન ઉત્સવ”ની ઉજવણી અંગે વિસ્તૃત માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે આ સપ્તાહમાં અલગ-અલગ થીમ અધારિત ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત મહિલા સુરક્ષા દિવસની ઉજવણી, મહિલાલક્ષી કાયદાની જાગ્રતતા, સાયબર ગુનાઓ- SHE-ટીમ તથા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ડેમોસ્ટ્રેશન, કાયદાકીય અને યોજનાકીય જાગૃતિના સેમિનાર યોજવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે બીજી ઓગસ્ટે બેટી બચાવો-બેટી પઢાવો દિવસની ઉજવણી કરાશે, ત્રીજી ઓગષ્ટે મહિલા સ્વાવલંબન દિવસ નિમિતે રોજગારીનું સર્જન કરવા માટે દરેક જિલ્લાના મહિલા અને બાળ અધિકારી દ્વારા વિવિધ ઔદ્યોગિક એકમો તેમજ સ્થાનિક ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકલન દ્વારા મહિલા સ્વરોજગાર મેળા આયોજિત કરાશે. ચોથી ઓગષ્ટે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી નિમિત્તે.મહિલા જાગ્રતતા શિબિર, જિલ્લા કક્ષાએ સમાજમાં આગવું પ્રદાન કરનાર મહિલાઓનું સન્માન, પંચાયતી રાજ અને સામાજિક અન્વેષણ વિશે સંવાદ, ખેતીવાડી ક્ષેત્રે અને ડેરી-પશુપાલન ક્ષેત્રે આગવું પ્રદાન આપનાર મહિલા ખેડૂતોનું સન્માન તેમ જ ખાસ મહિલા ગ્રામ સભાનું આયોજન કરવામાં આવનાર છે.

પાંચમી ઓગષ્ટે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી અંતર્ગત કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ ૨૦૧૩ જાગ્રતતા સેમિનાર, માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ  સહિતના કાર્યકમો આયોજિત કરવામાં આવનાર છે. જ્યારે છઠ્ઠી ઓગષ્ટે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરાશે. જેમાં મહિલા કલ્યાણકારી યોજના વિશે જાગૃતીકરણ, વિવિધ હેલ્પલાઇનની કામગીરી તથા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનારી વિદ્યાર્થિનીઓનું જાહેર સન્માન ઉપરાંત વિવિધ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરાશે અને સાત ઓગસ્ટે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરાશે.