લોકસભા ચૂંટણી 2019: 33,431 બિનજામીનપાત્ર વોરંટ, 1 લાખથી વધુની અટકાયત…

અમદાવાદ-  લોકસભા ચૂંટણી ૨૦૧૯ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ચૂંટણી તંત્ર તથા જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા આગોતરા પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ અંગે રાજ્યનાં મુખ્ય નિર્વાચન અધિકારી ડો. એસ. મુરલી ક્રિષ્નાએ જણાવ્યું હતું કે રાજ્યભરમાંથી ૫૬,૯૨૫ પરવાનેદાર હથિયાર ધારકો પૈકી ચૂંટણીઓ જાહેર થયા બાદ રાજ્યમાં ૪૯,૪૫૮ જેટલાં હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરાવાયા છે. તેમ જ રાજ્યમાં ચૂંટણીની જાહેરાત પછી તકેદારીનાં ભાગરૂપે ૩૩,૪૩૧ બિનજામીનપાત્ર વોરંટ બજાવવામાં આવ્યા છે. જ્યારે ૧,૧૨,૩૦૫ વ્યક્તિઓ સામે વિવિધ સીઆરપીસી એક્ટ હેઠળ અટકાયતી પગલાં લેવાયા છે.

મુખ્ય નિર્વાચન અધિકારી, ડૉ એસ. મુરલી કૃષ્ણાએ કહ્યું હતું કે, લોકસભાની સામાન્ય ચૂંટણી માટે આચાર સહિંતા ચૂંટણી જાહેરાતથી જ અમલમાં આવી છે. સમગ્ર રાજ્યમાં ચૂંટણી ખર્ચ માટે જિલ્લા કક્ષાએ ચૂંટણી તંત્રને સજ્જ કરાયું છે. દરેક જિલ્લામાં ચૂંટણી ખર્ચના એક નોડલ અધિકારી અને વિવિધ ટીમની રચના કરાઈ છે. ચૂંટણી જાહેરનામાની તારીખથી એટલે કે તા. ૨૮.૦૩.૨૦૧૯થી સમગ્ર રાજયમાં ૬૩૯ જેટલી સ્ટેટીક સર્વેલન્સ ટીમ અને ૨૦૮ જેટલા મદદનીશ ખર્ચ નિરીક્ષકની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

આવકવેરા વિભાગે 1.03 કરોડની રોકડ જપ્ત કરી

ચૂંટણી ખર્ચ નિયંત્રણ માટે નિમાયેલ વિવિધ ટીમ અને રાજય આબકારી અને નશાબંદી વિભાગ દ્વારા કુલ ૪.૯૦ કરોડનો ૧.૮૧ લાખ લિટર દારૂ જપ્ત કરાયેલ છે. આવકવેરા વિભાગે ૧.૦૩ કરોડ રોકડ જપ્ત કરેલ છે. જેમાથી ૪૪.૭૦ લાખ સૂરત અને ૫૮.૩૦ લાખ અમદાવાદ માથી જપ્ત થયેલ છે. ફ્લાઈંગ સ્ક્વોડને તપાસ દરમિયાન (વલસાડ જિલ્લામાં) મળી આવેલ રકમ રૂ. ૧૯.૮૭ લાખ બાબતે આવકવેરા વિભાગ દ્વારા કાર્યવાહી પ્રગતિમાં છે.

પંચે ૨૩-૦૩-૨૦૧૯ના પત્રથી ભારતસરકારના નાણા મંત્રાલયના નાણાકીય સેવાઓના વિભાગે તા. ૧૫-૦૩-૨૦૧૯ના રોજ તમામ શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંકોના મેનેજિંગ ડિરેક્ટરોને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બેન્‍કો દ્વારા સાચી અને પ્રમાણિક રોકડના પરિવહન માટે ધોરણસરની સંચાલન પધ્ધતિ બહાર પાડી છે. જેમાં એટીએમ તેમજ અન્ય શાખાઓ, બેન્કો/ચલણી નોટોની તીજોરીઓ સુધી બેન્કોની રોકડના પરિવહન માટે, બેન્કો તથા આઉટસોર્સ્ડ એજન્સીઓ/ ખાલી થઇ ગયેલી રોકડ ભરવાનું કામ કરતી કંપનીઓએ અનુસરવાની વિગતવાર માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી છે.

આ સંચાલન પધ્ધતિ મુજબ બેંકો એ સુનિશ્ચિત કરશે કે બેંકોની રોકડ લઇ જતી આઉટસોર્સડ એજન્સીઓ/કંપનીઓની કેશવાન કોઇપણ સંજોગોમાં બેંકો સિવાયની ત્રીજા પક્ષ/એજન્સી/વ્યક્તિઓની રોકડની હેરફેર ન કરે. આ માટે આઉટસોર્સડ એજન્સીઓ/કંપનીઓ, બેંકોએ તેમને છુટી કરેલી અને એટીએમમાં ભરવા માટે તથા અન્ય શાખાઓ, બેન્કો અથવા કરન્સી ચેસ્ટ્સને પહોંચાડવા માટે તેમના દ્વારા લઇ જવામાં આવતી રોકડની વિગતો દર્શાવતા, બેંક દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા પત્રો/દસ્તાવેજો વગેરે સાથે રાખવાના રહેશે.

આચારસંહિતા તથા ફરીયાદ નિવારણ

  • આચારસંહિતા ભંગની કુલ ૩૭ ફરિયાદો મળી છે, તે તમામનો નિકાલ કરવામાં આવ્યો છે.
  • રાજ્યમાં કુલ ૯૧,૩૫૫ જાહેર ખબરોનાં પોસ્ટરો, બેનરો,દિવાલ પરનાં લખાણો, ધજા-પતાકા વગેરે જાહેર ઈમારતો પરથી દૂર કરવામાં આવ્યા છે.
  • આ ઉપરાંત, કુલ ૧૮,૪૨૩ જાહેર ખબરોનાં પોસ્ટરો, બેનરો,દિવાલ પરનાં લખાણો, ધજા-પતાકા વગેરે ખાનગી ઈમારતો પરથી દૂર કરવામાં આવ્યા છે.
  • આમ, સમગ્ર રાજ્યમાં કુલ ૧,૦૯,૭૭૮ જાહેરખબરનાં બેનર્સ, હોર્ડિગ્સ, પોસ્ટર્સ, દિવાલ પરનાં લખાણો અને ધજા-પતાકાને વગેરે ખાનગી ઈમારતો દૂર કરવામાં આવ્યા છે.
  • રાજ્યમાં તમામ જિલ્લાઓમાં વોટર હેલ્પલાઈન ૧૯૫૦ કાર્યરત છે, જેમાં અત્યારસુધીમાં કુલ ૨૫,૬૫૨ કોલ મળ્યા છે.
  • cVIGIL માં કુલ ૩૦૦ ફરીયાદો મળી છે. તે પૈકી ૯૫ ફરિયાદો પ્રથમ દ્રષ્ટિએ જોઈ ડ્રોપ કરવામાં આવી છે. જ્યારે બાકીની ૨૦૫ ફરિયાદોનો તપાસ કરાવ્યા બાદ નિકાલ કરવામાં આવ્યો છે.