આઈબીને મળ્યો પત્રઃ આ લોકો પર હુમલો કરવાની ધમકી

અમદાવાદઃ ગુજરાત ઇન્ટેલીજન્સ બ્યુરોના નામે ગુરુવારે એક પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. આ પત્રમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આઇબીને એક નનામો પત્ર મળ્યો છે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સહિત મહત્વના પદો ઉપર બેઠેલા 13 વ્યકિતઓ ઉપર આતંકી હુમલો થવાની દહેશત વ્યક્ત કરાઇ છે. જોકે, સત્તાવાર રીતે આ અંગે આઇબીના પત્ર કે આઇબીને મળેલા નનામા પત્રને કોઇ સમર્થન આપી રહ્યું નથી.

આઇબીને મળેલા એક નનામા પત્રના સંદર્ભમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિત તમામ જિલ્લાઓને એક નનામા પત્રનો ઉલ્લેખ કરીને તકેદારી રાખવા માટે આદેશ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશકના લેટરહેડ ઉપર નાયબ કમિશનરની સહીવાળો એક પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. આ પત્ર જે પ્રકારે લખવામાં આવ્યો છે તે પોલીસની આંતરિક વહીવટી પ્રક્રિયા છે.

આ પત્રમાં 13 વ્યક્તિઓના નામોનો ઉલ્લેખ કરાયેલો છે. આઇબીએ પોતાને મળેલા પત્રમાં એવી જાણકારી આપી છે કે, કેટલાંક લોકો ગુજરાતનો માહોલ બગાડવા માટે આતંકી હુમલો કે કોમી તોફાનો કરાવી શકે છે તેવી આશંકા વ્યક્ત કરાઇ છે. આ અંગે હવે તકેદારીના પગલાં લેવા કહેવાયું છે.

પત્રમાં ઉલ્લેખ કરાયેલા નામોની વાત કરીએ તો અમિત શાહ (કેન્દ્રીય ગૃહમંત્રી), વિજય રૂપાણી (મુખ્યમંત્રી), નીતિન પટેલ (નાયબ મુખ્યમંત્રી), શિવાનંદ ઝા (ડીજીપી), જીતુ વાઘાણી (પ્રમુખ, ભાજપ), પ્રદિપસિંહ જાડેજા (ગૃહરાજ્ય મંત્રી), દિલીપદાસજી મહારાજ, આશિષ ભાટિયા, અમદાવાદ પોલીસ કમિશનર, પ્રવિણ તોગડીયા(એએચપી), શૈલેષ પરમાર (ધારાસભ્ય), ચીફ જસ્ટીસ (ગુજરાત હાઇકોર્ટ), ભરત બારોટ(પૂર્વ ધારાસભ્ય), ભૂષણ ભટ્ટ (પૂર્વ ધારાસભ્ય) ના નામોનો સમાવેશ થાય છે.