સુરતમાં સૌપ્રથમ કિડની પ્રત્યારોપણ સફળ રહ્યું; કિરણ હોસ્પિટલની સિદ્ધિ

સુરત – ભારતની આગવી હોસ્પિટલોમાંની એક, અત્રેની કિરણ હોસ્પિટલ તમામ પ્રકારનાં રોગોનાં નિદાન તથા સારવારમાં કાર્યરત છે. કિરણ હોસ્પિટલનો ઉદ્દેશ ‘નહીં-નફો–નહીં-નુકસાન’નો છે. આ હોસ્પિટલમાં છેલ્લા 2.6 વર્ષમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન તથા અન્ય રાજ્યો અને વિદેશનાં અંદાજે 7,50,000થી વધુ દર્દીઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાની તબીબી સારવાર-સુવિધાનો લાભ લીધો છે. હોસ્પિટલની સેવાનો લાભ સુખી-સંપન્ન અને ઓછી આવક ધરાવતા તેમજ દરેક વર્ગનાં લોકો લઈ રહ્યાં છે. સાથોસાથ આ હોસ્પિટલમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે ‘મુખ્યમંત્રી અમૃતમ (મા) યોજના’ અને ‘આયુષ્યમાન ભારત યોજના’ સેવાનો લાભ પણ મોટી સંખ્યામાં દર્દીઓ લઈ રહ્યા છે.

કિરણ હોસ્પિટલના સીઈઓ ડો. રવિન્દ્ર કરંજેકરના જણાવ્યા મુજબ કિરણ હોસ્પિટલ કિડનીના રોગો માટે સામાન્ય નિદાનથી લઈને દરેક પ્રકારનાં ઓપરેશનો, ડાયાલીસીસ તથા કિડની ફેઈલરની બીમારીમાં તમામ સારવાર પૂરી પાડે છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ વિભાગમાં કુશળ અને અનુભવી ડોકટરો, સ્ટાફ તથા જંતુમુક્ત ઓપરેશન થિયેટર તથા ટ્રાન્સપ્લાન્ટ આઈ.સી.યુ.ની સર્વોતમ સુવિધાઓ ઉપલબ્ધ છે. ગઈ 22 ડિસેમ્બર, 2019ના રોજ કિરણ હોસ્પિટલની કુશળ ટ્રાન્સપ્લાન્ટ ટીમ દ્વારા 19 વર્ષીય સમર્થ નિલેષભાઈ મૈસુરિયા નામના યુવાન દર્દીને તેમના 43 વર્ષીય પિતા નિલેષભાઈ હસમુખભાઈ મૈસુરિયા દ્વારા દાન કરાયેલી કિડનીનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. કિરણ હોસ્પિટલમાં સુરતનું આ સૌપ્રથમ કિડની પ્રત્યારોપણ (ટ્રાન્સપ્લાન્ટ) ઓપરેશન કરવામાં આવ્યું. હવે ટૂંક સમયમાં અન્યો દર્દીઓમાં પણ આ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવનાર છે.

કિરણ હોસ્પિટલમાં કુશળ અને અનુભવી ડોકટરો દ્વારા 36 મશીનો સાથેનો અતિ આધુનિક અને દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો ડાયાલીસીસ વિભાગ કાર્યરત છે. જેમાં 2.6 વર્ષમાં 90,000થી વધારે ડાયાલીસીસ કરવામાં આવ્યા છે.

ખૂબ જ આધુનિક ડાયાલીસીસ વિભાગમાં R.O. વોટર પ્લાન્ટ અને મશીનો જર્મનીથી આયાત કરવામાં આવ્યા છે અને દર્દીઓ ડાયાલીસીસની આ સુવિધાઓથી ખૂબ જ સંતોષની લાગણી અનુભવે છે.