ગૃહપ્રધાન અમિત શાહે ચૂંટણીપ્રચારના કર્યા શ્રીગણેશ

અમદાવાદઃ ગૃહપ્રધાન અમિત શાહ મેમનગર સ્થિત ગુરુકૂળ રોડ ઉપર આવેલા શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરે દર્શન કરી ચૂંટણીપ્રચાર શરૂ કર્યો હતો. તેમણે દર્શન કર્યા બાદ મધ્યસ્થ કાર્યાલયે ચૂંટણીલક્ષી બેઠક યોજી હતી. આ બેઠકમાં ધારાસભ્યો, હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

લોકસભાની ચૂંટણી જાહેર થાય એ પહેલાં ગાંધીનગર બેઠક પરથી સાંસદ અને કેન્દ્રીય ગૃહ, સહકાર પ્રધાન અમિત શાહ ગુરુવારે સાંજે અમદાવાદ આવી પહોંચ્યા છે. મેમનગરમાં શાહની જનસભા યોજવામાં આવી છે. જેમાં જય શ્રીરામના નારા સાથે અમિત શાહે સંબોધન શરૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતુ કે મારા તમામ કાર્યકર્તાઓનો ખૂબ-ખૂબ આભાર. પત્રિકા વેચનાર કાર્યકર્તા પણ ભાજપમાં ગૃહપ્રધાન બની શકે છે. ચા વેચનાર ભાજપમાં દેશના વડા પ્રધાન પણ બની શકે છે. વડા પ્રધાને મને લોકસભામાં ઊભા રહેવાની તક આપી છે.

વડા પ્રધાને દેશને સમૃદ્ધ કરવાનું કાર્ય કર્યું છે. ૩૩ ટકા રિઝર્વેશન આપીને મહિલાઓને લોકસભા માટે મોકો આપ્યો છે. દેશનો ધ્વજ વિશ્વમાં સૌથી ઊંચો ફરકાવ્યો છે. દેશને સુરક્ષિત રાખવાનું કાર્ય પણ નરેન્દ્રભાઈએ કર્યું છે. પાકિસ્તાનના ઘરમાં જઈને જવાબ આપ્યો છે. ચૂંટણી જીતવાની છે એ સંકલ્પ રાખો.

તેમણે અમદાવાદમાં રૂ. ૩૦૧૨ કરોડના વિકાસ કામોના લોકાપર્ણ અને ખાતમુહૂર્ત દિલ્હીથી વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કર્યું હતું. આ કાર્યક્રમના પાંચ-છ કલાક બાદ તેઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા.