હરણી દુર્ઘટનામાં હાઈકોર્ટનો આદેશ, ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ

જાન્યુઆરી મહિનામાં એક ગોજાનારી દુર્ઘટના થઈ હતી. વડોદરામાં હરણી તળાવમાં એક સાથી 12 બાળકો અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા હતા. જે બાદ હાઈકોર્ટમાં સુઓમોટો સુનાવણી ચાલી રહી છે. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે વડોદરાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સામે ડિસિપ્લિનરી પગલાં લેવા માટે અર્બન હાઉસિંગના સેક્રેટરીને આદેશ કર્યો છે. આ તપાસ IAS નિયમોના પરિપ્રેક્ષ્યમાં થશે. આ ઉપરાંત હાઇકોર્ટે સવાલ કર્યો કે કોન્ટ્રાકટર પાસે લાયકાત ના હોવા છતાં પહેલી વખત કોન્ટ્રેક્ટ નહોતો અપાયો તો બીજી વખત ફક્ત બે મહિનામાં લાયકાત કેવી રીતે આવી ગઈ?

આ અંગે પીડિત પક્ષના વકીલ ઉત્કર્ષ દવે જણાવ્યું, હાઇકોર્ટમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનરનું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામાંથી હાઇકોર્ટ નાખુશ છે. વકીલ ઉત્કર્ષ દવેએ આગળ કહ્યું કે, કોર્ટે એ વસ્તુ ઓર્ડરમાં નોંધી છે કે પહેલીવાર કોન્ટ્રેક્ટ રિજેક્ટ કરવામાં આવ્યો ત્યારે તેની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી શૂન્ય હતી, પણ બે મહિનામાં એવું તો ક્યું વાદળ પડી ગયું કે આની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એટલી તો વધી ગઈ કે તેને કોન્ટ્રેક્ટ આપી દેવામાં આવ્યો. આ ઉપરાંત કોર્ટે ટકોર કરી કે આ સંપૂર્ણ બાબત માટે એ વખતના મ્યુનિસિપલ કમિશનર જવાબદાર છે. તેમજ કોર્ટે તપાસના આદેશ આપ્યા છે. એની સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર સામે ડિસિપ્લિનરી પગલાં લેવા આદેશ કર્યો છે.

શું હતો સમગ્ર મામલો

તારીખ 18 જાન્યુઆરી 2024ના રોજ બનેલી વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં વાઘોડિયા રોડ ઉપર આવેલી ન્યૂ સનરાઇઝ સ્કૂલનાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓના હોડી સહેલગાહ દરમિયાન હોડી પલટી મારી જવાથી મોત નીપજ્યાં હતાં. 14 લોકોનો ભોગ લેનાર આ દુર્ઘટનાથી રાજ્યમાં શોકનો માહોલ છવાય ગયો હતો. સાથે જ આ દુર્ઘટનાના જવાબદાર લોકોને પકડવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ચૂક્યું હતું. આ બનાવમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક પછી એક 18 જેટલા આરોપીઓની ધરપકડ કરીને જેલમાં ધકેલી આપ્યા છે. તો બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ હોડી દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી અને જવાબદાર મનાતા 6 અધિકારીઓને શોકોઝ નોટિસ આપવામાં આવી હતી. નોટિસમાં 7 દિવસમાં ખુલાસો કરવા માટે જણાવ્યું હતું.