કૃષ્ણનગરની અંકુર-સ્કૂલમાં આગઃ આગમાં કોઈ જાનહાનિ નહીં

અમદાવાદઃ શહેરના કૃષ્ણનગરમાં આવેલી અંકુર સ્કૂલમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આ આગ પર કાબૂ મેળવવા ફાયરબ્રિગેડની 10 ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આખરે દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ આગમાં મજૂરીકામ કરવા આવેલા ચાર બાળકો ફસાયાં હતાં, જેમને ફાયર વિભાગ દ્વારા સહીસલામત બચાવી લેવાયા હતા. આ આગ કયાં કારણોસર લાગી હતી તે હજી જાણવા મળ્યું નથી.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી અંકુર શાળામાં સવારે 11 વાગ્યે એકાએક આગ ફાટી નીકળી હતી. આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું.

રાજ્યની શાળાઓ કોરોનાને કારણે બંધ છે જેને કારણે અહીં મોટી દુર્ઘટના સર્જાતાં ટળી છે. આ આગ કયા કારણથી લાગી હતી એ અંગે ફાયર વિભાગે જણાવ્યું હતું કે હજી આ આગ પાછળનું કારણ સામે આવ્યું નથી. આ શાળા એક રાજકીય નેતાની હોવાની હાલ લોકમુખે ચર્ચા ચાલી રહીં છે.