છેવટે રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને શરતી જામીન

અમદાવાદઃ રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને કોર્ટે જામીન આપ્યા છે. સેશન્સ કોર્ટે હાર્દિક પટેલના શરતી જામીન મંજૂર કર્યા છે. હવે પછી કેસની તારીખમાં ફરજિયાત હાજર રહે તેવો કોર્ટે હાર્દિકને આદેશ આપ્યો છે. તો બીજી તરફ, હાર્દિકના વકીલે પણ કોર્ટને બાંહેધરી આપી છે કે બીજી વાર હાર્દિક દ્વારા આવી ભૂલ નહિ થાય.પાટીદાર અનામત આંદોલન મામલે રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ ગેરહાજર રહેતા કોર્ટે તેમની સામે બિનજામીનપાત્ર વોરન્ટ ઈશ્યુ કર્યું હતું. હાઈકોર્ટની વારંવાર સૂચના હોવા છતાં વાંરવાર તેઓ કોર્ટમાં ગેરહાજર રહેતા હતાં એવું સેશન્સ કોર્ટનું અવલોકન હતું. આ ઉપરાંત કેસમાં હાજર રહેવામાંથી મુક્તિની હાર્દિકે કરેલી અરજી પણ કોર્ટે ફગાવી. 18 જાન્યુઆરીના રોજ પાટીદાર નેતા હાર્દિક પટેલની ચપોલીસે વિરમગામ નજીકની હાંસલપુર ચોકડીથી અટકાયત બાદ ધરપકડ કરાઈ હતી.

વર્ષ 2016ના પાટીદાર અનામત આંદોલન સમયના મામલામાં હાર્દિકની ધરપકડ કરાઈ હતી. આ દરમિયાન હાર્દિક પટેલ, કેતન પટેલ, દિનેશ બાંભણિયા અને ચિરાગ પટેલ વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો. આ કેસ હાલ સેશન્સ કોર્ટમાં ચાલે છે. ત્યારે કોર્ટમાં વારંવાર હાજર ન રહેતા તેની ધરપડક કરવામાં આવી હતી. મુદતમાં હાજર ન રહેતા હાર્દિક પટેલ સામે એડિ.સેશન્સ જજ બી.જે.ગણાત્રાએ ધરપકડ વોરંટ કાઢ્યું હતું.