ઓઢવમાં પરણિતાનું ત્રણ સંતાન સાથે સામૂહિક આપઘાત, માતા-પુત્રનું મોત, બાળકીઓ સારવાર હેઠળ

અમદાવાદ: ઓઢવ વિસ્તારમાંથી એક સામૂહિક આપઘાતનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પરણિતાએ પોતાના ત્રણ સંતાનો સાથે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. ત્રણ સંતાનોને ઝેરી દવા પીવડાવ્યા બાદ પોતે ઝેરી દવા ગટગટાવી જતાં માતા અને પુત્રનું મોત નીપજ્યું છે. જ્યારે બાળકીને તબિયત ખરાબ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.  મહિલા પાસેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. પોલીસે હાલમાં આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સૂત્રોની જાણકારી પ્રમાણે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતી પરણિતાએ ઘઉં નાખવાની દવા ચોકલેટમાં મિક્સ કરીને બાળકોને આપી હતી. ત્યારબાદ તેણે પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઝેરી દવાની અસરથી માતા અને પુત્રનું મોત નીપજ્યું હતું. જ્યારે બે બાળકીને તબિયત લથડતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પરણિતા પાસેથી એક ચિઠ્ઠી લખી હતી તે મળી આવી છે, પરંતુ તેમાં કોઇને જવાબદાર ગણાવવામાં આવ્યા નથી. ચિઠ્ઠીમાં પરણિતાએ લખ્યું હતું કે મમ્મી પપ્પા હું ખૂબ થાકી ગઇ છું. મારે અને મારા છોકરાને નથી જીવવું. મારા ગયા પછી તમે રડતા નહી. મને અને મારા છોકારાને તમે અગ્નિ આપજો. તમારી દિકરી તરીકે મને વિદાય આપજો, મારે કોઇ વહુ બનીને મને વિદાય ન આપતા અને હા એના હાથે મને સિંદુર પણ ના પુરાવતા. મારે તમારા ઘરે પાછું નથી આવવું. હું કોઇના પર બોજ બનવા નથી માંગતી. બસ હવે હું જાવ છું. પપ્પા મમ્મી અને ભાઇ તમે લોકો બહુ રડતા નહી અને અમને લોકોને યાદ કરીને રડતા નહી.  ઉલ્લેખીય છે કે પોલીસે પુત્રની હત્યા બદલ મૃતક માતા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. જ્યારે પરિણીતાની આત્મહત્યા પાછળના કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.