વતન ન જવા દેવાતા સુરતમાં પરપ્રાંતીઓએ કર્યો પથ્થરમારો

સુરતઃ અત્યારે કોરોના વાયરસની મહામારીના પગલે સમગ્ર વિશ્વના મોટાભાગના દેશોમાં લોકડાઉનની સ્થિતિ સર્જાઈ છે. તો મોદી સરકારે પણ કોરોના વાયરસ સામે લડવા માટે સાવચેતીના ભાગ રૂપે 21 દિવસનું લોકડાઉનની જાહેરાત કરી હતી. જેના પગલે ઉદ્યોગ ધંધા બંધ થયા છે. જેની મોટી અસર કારીગરો અને મજૂરોને પડી છે. લોકડાઉનની શરૂઆતમાં જ હજારો મજૂરો અને કારીગરો ચાલતા પોતાના વતન પહોંચ્યા હતા.જોકે, તંત્ર વધારે કડક બનતા મજૂરો જેતે જગ્યાએ રહ્યા છે. લોકડાઉનના સમયે સુરતમાં રહેતા હજારો ઓડિસાવાસીઓએ વતન પાછા ન જવા દેતા ઉશ્કેરાઈને આજે શુક્રવારે રાત્રે હંગામો મચાવ્યો હતો. સાથે સાથે મોટી સંખ્યામાં રોડ ઉપર ઉતરીને પોલીસ ઉપર પથ્થરમારો પણ કર્યો હતો. આ ઉપરાંત વતન પાછા જવાનો પણ પ્રયાશ કરી રહ્યા છે. પોલીસે અનેક લોકોની અટકાયત કરી હતી.

મળતી માહિતી પ્રમાણે સુરતના સરથાણા વિસ્તારમાં હજારો ઓડિસાવાસીઓ રહે છે. મોટાભાગના લોકો લૂમ્સમાં કામ કરતા હતા. જોકે, લોકડાઉનના કારણે તેઓ બેરોજગાર થતાં સુરતમાં રહેવા માટે તકલીફ પડી રહી છે. જેના પગલે આ વિસ્તારમાં રહેલા હજારો લોકો રસ્તા ઉપર ઉતરી ગયા હતા. અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ વધારે થતાં આ લોકોએ પોલીસ ઉપર પથ્થર મારો પણ કર્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, 40,000 કરતા વધુ લોકો આ વિસ્તારમાં રહે છે અને આ લોકો પોતાના વતન પાછા જવા માટે પણ પ્રયત્નો કરી હર્યા છે. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયત્નો કર્યો હતો. પોલીસે અનેક લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ સામે લડવા માટે તંત્ર દિવસ રાત એક કરે છે ત્યારે આટલી મોટી સંખ્યામાં લોકો રોડ ઉપર ઉતરે ત્યારે કોરોના વાયરસનો ફેલાવાનો ખતરો વધી જાય છે.