બદલાઇ રહેલા વર્ક કલ્ચરમાં જાળવો માનસિક સંતુલન

એક તરફ કોરોનાની મહામારીએ ભારત સહિત વિશ્વભરના દેશોમાં​ ​અર્થતંત્રને ખોરવી નાખ્યું છે​ તો સા​​થે સાથે ​વિશ્વભરમાં, ખાસ કરીને ખાનગી ક્ષેત્રમાં ​કામ કરવાની વ્યવસ્થા પણ ખોરવી નાખી છે​. ​હાલ ભારત સહિત વિશ્વના દેશોની જે હાલત છે એ​ જોતાં ​વિશ્વ ક્યારે પહેલાની માફક નિયમિત થશે એ અંગે કંઈ પણ કહેવાનું મુશ્કેલ છે ત્યારે બદલાયેલી વ્યવસ્થામાં વર્ક ફ્રોમ હોમનું ચલણ વધ્યું છે.

પરંતુ આ બદલાવને સ્વીકારવામાં અત્યારે કંપનીઓને સૌથી વધારે કોઈ મુશ્કેલી પડી રહી હોય તો એ છે કે કઈ રીતે એના કર્મચારીઓને શારીરિક અને માનસિક રીતે આ નવા વર્ક કલ્ચર માટે તૈયાર કરવા? કઇ રીતે એમની ઈમોશનલ જરૂરિયાતોને પૂરી કરવી. નવું વર્ક ફ્રોમ હોમ કલ્ચર આ બધા પડકારો પણ લઇને આવ્યું છે.

વર્ષોથી ઓફિસમાં રૂટિન કામ કરવા ટેવાયેલા લોકોને પણ એક પ્રકારની હતાશા અને તણાવના માહોલમાં ઘરેથી કામ કરતી વખતે અનેક પ્રકારની સમસ્યાઓ નડી રહી છે, ખાસ કરીને પ્રોડક્ટીવીટીને જાળવી રાખવાની.

આ સંજોગોમાં, આવા કર્મચારીઓની મદદે આવવાનું નક્કી કર્યું છે મૂળ ગુજરાતી, પણ હાલ સિંગાપુરમાં સ્થાયી થયેલા અને આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા યોગ અને વેલનેસ નિષ્ણાંત સુજાતા કૌલગીએ. સુજાતાબહેન વિશ્વ આરોગ્ય સંગઠન સહિત અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. એ કહે છે, મેં બેંગ્લોરથી બેંગકોક કે ઓકલેન્ડ થી એટલાન્ટા સુધી અનેક દેશોના ખાનગી ક્ષેત્રોમાં કામ કરતા લોકો સાથે વાત કરીને એમની સમસ્યા સમજવાનો પ્રયત્ન કર્યો છે. વર્તમાન માહોલમાં કંપની કઇ રીતે એના કર્મચારીઓની પ્રોડક્ટિવિટીને જાળવી રાખીને, એમની લાગણીની જરૂરિયાતોના સમજીને કામ કરે અને એમાં યોગ અને મેડિટેશન કઈ રીતે મદદરૂપ થઇ શકે એ માટે મેં અમુક મોડ્યુલ્સ તૈયાર કર્યા છે.

આ પ્રોગ્રામ અંતર્ગત એ ઓનલાઇન સેશન્સ દ્વારા કર્મચારીઓને યોગા અને વેલનેસની તાલીમ આપશે. એમનામાં હકારાત્મકતા જળવાઇ રહે એ પ્રકારની ટીપ્સ પણ આપશે. પેનીક ટુ પીસ અથવા તો ફિયર ટુ ફ્રીડમ એવું શીર્ષક ધરાવતા આ પ્રોગ્રામમાં ભાગ લેનાર વ્યક્તિ પોતાના કામના સ્વરૂપ અને પોતાની સમસ્યાનો ફીડબેક પણ આપી શકે છે અને એ ફીડબેક ના આધારે એને જરૂરી સોલ્યુશન મળે એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

વ્યક્તિગત રીતે પણ એ છેલ્લા કેટલાક સમયથી એક અઠવાડિયા માટે તૈયાર કરેલા વેલનેસ ક્લાસ ઓનલાઇન પ્લેટફોર્મ પર ફ્રી ચલાવે છે. કોરોનાને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલી આ ખાસ નવી પહેલ માટે સુજાતાબહેન કહે છે, વર્તમાન સમયે કપરો છે, પણ જો આપણે બધા જ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી શકીશું તો એ કપરો સમય પણ પસાર કરવો અઘરો નહીં હોય.

કોઇપણ પ્રકારની મૂંઝવણ હોય તો yogawithsujata@gmail.com પર સુજાતાબહેન તૈયાર છે તમને માર્ગદર્શન આપવા.