વાસ્તુ: ઈશાન દિશાની ભૂલ ઘરમાં નકારાત્મકતા લાવી શકે

શું તમને જીવન પ્રત્યેની ચિંતાઓ વધી રહી છે? શું તમારો વાસ્તુશાસ્ત્ર પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે? શું તમને આંખોમાં બળતરા થાય છે? શું તમારો આત્મવિશ્વાસ ઘટી રહ્યો છે? શું તમને સતત કંઈક થઈ જવાનો ડર લાગે છે? શું તમે રીલ્સમાં વિશ્વાસ કરીને એની સલાહ મુજબ જીવન જીવો છો? તો સમજો કે તમે હાથે કરીને દુઃખી થવાનું શરૂ કર્યું છે.

સર્વપ્રથમ તો રીલ્સ જોવાનું ઓછું કરો અને તમારા મગજ તેમજ આંખોને આરામ આપો. જે પ્લેટફોર્મ પર લોકો પોપ્યુલર થવા માટે કંઈપણ કરવા તૈયાર થઈ જાય છે, તેના પર સંપૂર્ણ ભરોસો કેવી રીતે કરી શકાય? સત્ય બહુ ઓછા લોકોને ગમે છે. તેથી તે સહેલાઈથી પોપ્યુલર બનતું નથી.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો નીચે જણાવેલા ઈમેલ પર પૂછી શકો છો.

સવાલ: હું એક સોશિયલ મીડિયા સ્ટાર છું. અમને જેટલી ઝડપથી પ્રસિદ્ધિ મળે છે, એટલો જ વધુ તણાવ પણ ઉભો થાય છે. સતત કંઈક નવું આપવા માટે અને સતત પોપ્યુલર રહેવા માટે ઘણી વખત મન મારીને કામ કરવું પડે, ખોટું બોલવું પડે અને ખોટા વખાણ પણ કરવા પડે. મારી મમ્મી હંમેશાં કહેતા કે, “આ બધી ઉપાધિ છોડીને નોકરી શોધી લે.” પરંતુ સફળતાનો નશો એ કરવા ક્યાં દે?

એક દિવસ મને ડિપ્રેશનનો એટેક આવ્યો. આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા. મારા મમ્મી ગભરાઈ ગયા અને રીલ્સ જોઈને ઈશાનમાં પીપળો વાવી દીધો, રસોડાના પ્લેટફોર્મ પર તુલસીનું કુંડું મૂકી દીધું અને ગેસ સ્ટવ પર બે વાટકા ટીંગાડી દીધા. ત્યારબાદ અચાનક મારું કામ ખોરવાઈ ગયું. મારી ટ્રીટમેન્ટ પાછળ લાખો રૂપિયા ખર્ચી નાખ્યા છતાં તકલીફ યથાવત છે. હવે તો વાસ્તુશાસ્ત્ર પરથી વિશ્વાસ જ ઉઠી ગયો છે. તેથી મને સાચું માર્ગદર્શન આપીને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા વિનંતી.

જવાબ: સફળતાનો આનંદ માણવાનો હોય, તેનો નશો કરવાનો નથી. તમે મફતમાં વાસ્તુની સલાહ લીધી અને લાખો રૂપિયા ગુમાવ્યા. જો તમારે હીરો ખરીદવો હોય તો તમે ઝવેરી પાસે જશો કે કુંભાર પાસે?

ભારતીય વાસ્તુશાસ્ત્રના નિયમો યોગ્ય રીતે સમજવામાં આવે તો અનેક સમસ્યાઓના ઉકેલ માટે મદદરૂપ બની શકે છે. પરંતુ મફતમાં માટી મળે, સોનું નહીં. તમે જે રીલ્સ જોઈ, તે માત્ર મનોરંજન માટે હોય છે. તમે પોતે જ સ્વીકારો છો કે પોપ્યુલર થવા માટે તમે ઘણી નૈતિક રીતે ખોટી બાબતો કરી. તેવી જ રીતે વાસ્તુના વિષયમાં પણ ઘણા લોકો લોકપ્રિયતા મેળવવા માટે ગેરમાર્ગદર્શન આપે છે.

ઈશાનમાં મોટું વૃક્ષ ક્યારેય ન વાવવું જોઈએ. રસોડાના પ્લેટફોર્મ પર કુંડું મૂકવું યોગ્ય નથી. વાટકા ટીંગાડવા માટે નથી હોતા. આટલી સમજ તો સામાન્ય માણસને પણ હોય.

ડિપ્રેશન બ્રહ્મના દોષથી આવે છે. મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. ચોક્કસ ફરક અનુભવશો. રીલ્સ જોઈને જે કંઈ કર્યું હોય તે બધું દૂર કરી નાખો. મફતમાં સલાહ લેવાના બદલે જો કોઈ નિષ્ણાતને યોગ્ય ફી આપી હોત તો તમને વધુ સસ્તું પડ્યું હોત. મોટા ભાગના લોકોને મફતમાં જ્ઞાન લઈને પછી હેરાન થવાનું ગમે છે.

સવાલ: મારો દીકરો જરાય ફોકસ નથી રાખતો. કાઉન્સેલિંગમાં લાખો રૂપિયા ખર્ચ્યા છતાં એ ભણવા જ નથી બેસતો. કોઈ ઉપાય આપો. મારા ઘરમાં મોટા ફેરફાર શક્ય નથી. એટલે સરળ ઉપાય જણાવશો.

જવાબ: આ માટે તમારા ઘરનો નકશો જરૂરી રહેશે. મારા અભ્યાસ દરમિયાન મેં કેટલીક સુગંધ પર કામ કર્યું છે, જેના કારણે બાળકની પ્રકૃતિ વધુ સકારાત્મક બની શકે છે. નકશો જોયા બાદ હું તમને યોગ્ય માર્ગદર્શન આપી શકીશ. ચોક્કસ ફરક પડશે.

સૂચન: ઈશાન દિશામાં ઊંચા વૃક્ષો વાવવાથી નકારાત્મક ઊર્જા વધે છે. તેથી ઈશાનમાં મોટા વૃક્ષો ન વાવવા જોઈએ.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)