મા અંબાજીના દર્શન કરીને કોંગ્રેસે જનસંપર્ક કાર્યક્રમનો પ્રારંભ કર્યો

અંબાજી– ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા હવે ધમધમાટ વધી ગયો છે. પ્રદેશ કોંગ્રેસના નવા બે સુકાની પ્રમુખ અમિત ચાવડા અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ લોકસભા 2019ની ચૂંટણી જીતવા માટે જંગ તૈયાર કરી રહ્યા છે. ગઈકાલે ચિંતનશિબર કરી અને બીજા દિવસે આજે ગુરુવારે મા અંબાના ચરણોમાં શિશ નમાવીને ગુજરાતમાં જનસંપર્ક અને સંવાદ યાત્રાનો પ્રારંભ કર્યો છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી તથા વરિષ્ઠ આગેવાનોએ સવારે આદ્યશક્તિ અંબાજી શક્તિપીઠમાં જગત જનની મા અંબાની મંગળા આરતી કરી, માતાજીને ધજા ચઢાવી અલૌકીક આધ્યાત્મિક્તાના અદભૂત અનુભવ સાથે “જન સંપર્ક” કાર્યક્રમનો આરંભ કર્યો હતો. મા અંબાના આશિર્વાદ સાથે હવે કોંગ્રેસ ચૂંટણી જીતવા મેદાનમાં ઉતરી છે.