ભાવનગર ઓક્સિજન ઉત્પાદનનું મથકઃ 18 ઓક્સિજન-પ્લાન્ટ

ભાવનગરઃ દેશમાં હાલ ઓક્સિજનની ખૂબ જ માગ છે. દેશમાં કેટલીક સંસ્થાઓ લોકોને ઘરે મફતમાં ઓક્સિજન પૂરો પાડી રહી છે. રાજ્યમાં ભાવનગરમાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ તેમજ રોલિંગ મિલોને લઈને મોટા પ્રમાણમાં ભાવનગર અને આજુબાજુના વિસ્તારોમાં ઓક્સિજન પ્લાન્ટ આવેલા છે. જેથી હાલ સરકાર દ્વારા મહત્વની કામગીરી કરવામાં આવી છે કે આ દરેક ઓક્સિજન પ્લાન્ટ પર સરકારી માણસને બેસાડવામાં આવ્યો છે. અને ત્યાંથી ઓક્સિજનનો જથ્થો દરેક હોસ્પિટલને તેમની જરૂરિયાત મુજબ મળી રહે એ માટેનું આયોજન થઈ રહ્યું છે જેથી હાલ ગુજરાતમાં જેટલું ઓક્સિજનનું ઉત્પાદન થઈ રહ્યું છે તેમાંથી મોટા ભાગનું ઉત્પાદન એકલા ભાવનગરમાં થાય છે.

ભાવનગરમાં આવેલા 18 જેટલા ઓક્સિજન પ્લાન્ટમાં રોજના આશરે 18,000 સિલિન્ડરો ભરાય છે, જેમાંથી આશરે 1,71,000 લિટર ઓક્સિજન માત્ર માનવ જિંદગી માટે પૂરો પાડવામાં આવી રહ્યો છે.

ભાવનગરના શિહોરમાં છ જેટલા ઓક્સિજન પ્લાન્ટ આવેલા છે, જેમાં દૈનિક ધોરણે આશરે 800 થી 1000 સિલિન્ડર નીકળી રહ્યા છે. જ્યારે અલંગમાં 12 પ્લાન્ટ આવેલા છે, જેમાં શ્રી રામ ગ્રુપનું સૌથી મોટું સેક્ટર હોવાથી ત્યાં રોજના 108 ટન એટલે 12,000 આસપાસ ઓક્સિજન સિલિન્ડર મોકલવામાં આવી રહ્યા છે. આમ શિહોર અને અલંગના પ્લાન્ટના કુલ આશરે 16 થી 17,000 સિલિન્ડર ઓક્સિજન ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આમ જોઈએ તો 1,71,000 હજાર લિટર આસપાસ ઓક્સિજનનું ઉત્પાદન થઈ રહ્યું છે.

જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ હાલ એક સિલિન્ડર માત્ર 248 રૂપિયામાં આપવામાં આવી રહ્યો છે. એક સિલિન્ડરમાં 9.50 લિટર ઓક્સિજન આવે છે. રોલિંગ મિલ એસોસિયેશન પ્રમુખ હરેશભાઇ સચદેવાએ જણાવ્યું હતું કે રોલિંગ મિલો અને ફરનેસ પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે કારણ કે હાલ સંપૂર્ણ ઓક્સિજન મેડિકલ ક્ષેત્રે સેવા માટે આપવામાં આવી રહ્યો છે.