અમદાવાદ આવી પહોંચ્યાં અટલજીના અસ્થિ, વિસર્જન યાત્રામાં જોડાયાં સીએમ

અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ ખાતે સ્વર્ગસ્થ અટલ બીહારી વાજપેયીનો અસ્થિ કુંભ આવી પહોંચ્યો છે. અમદાવાદ એરપોર્ટથી અટલજીના અસ્થિઅંશોની યાત્રા શરુ થઈ ગઈ છે. મુખ્યપ્રધાન રૂપાણી સાબરમતીના નીરમાં સ્વર્ગસ્થ અટલજીના અસ્થિને વિસર્જીત કરશે.

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી આ અસ્થિ કળશને લઈ આજે બપોરે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા, આ સમયે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિતના તમામ પ્રધાનો, પક્ષના આગેવાનો અસ્થિ કળશ પર પુષ્પાંજલિ કરી અને હવે આ અસ્થિ કળશને ગોલવાડ, ખાડીયા લઇ જવામાં આવશે.

દેશભરમાં અસ્થિ કળશ યાત્રાનો પ્રારંભ થયો છે. તેમાં અમદાવાદની સાબરમતી નદીમાં પણ અસ્થિ વિસર્જન કરવામાં આવશે. ગોલવાડથી શરુ થઇને અસ્થિયાત્રાનું ગુજરીબજાર પાસેના રિવરફ્રન્ટ પર સમાપન થશે અને અસ્થિનું સાબરમતી નદીમાં વિસર્જન કરવામાં આવશે. શહેરીજનોને આ યાત્રામાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે. અમદાવાદ ઉપરાંત સૂરત, વડોદરા, ભરૂચ, સિદ્ધપુર અને સોમનાથમાં પણ અસ્થિ કળશ યાત્રા યોજાશે.