IITGNના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ રૂ. 70 લાખનું દાન આપ્યું

ગાંધીનગર: ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન ગાંધીનગર (IITGN)ના લગભગ 55 ટકા યુવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ નાણાકીય વર્ષ 2022-2023માં સંસ્થામાં લગભગ રૂ. 70 લાખનું યોગદાન આપ્યું છે. ગયા નાણાકીય વર્ષ 2021-22માં 50 ટકા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ રૂ. 47.50 લાખનું યોગદાન આપ્યું હતું. આ સાથે સંસ્થાએ સતત ચોથા વર્ષે 50 ટકાથી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થી દાતાઓની સિદ્ધિ હાંસલ કરી છે.

IITGNના 3140 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાંથી 1723 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ નાણાકીય વર્ષ 2022-23માં સંસ્થાને સામૂહિક રીતે રૂ. 69 લાખથી વધુનું દાન આપ્યું હતું, જેથી હાલના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ, સંશોધનની નોંધપાત્ર તકો, અને વાઇબ્રન્ટ કેમ્પસ લાઇફ પ્રદાન કરવાનું ચાલુ રાખી શકાય. તેમણે તેમની મનપસંદ કેમ્પસ પ્રવૃત્તિઓ અને પહેલો- જેમ કે રમતગમત, સાંસ્કૃતિક અને તક્નિકી ઉત્સવો, Art at IITGN, સમુદાય કલ્યાણ કાર્યક્રમો વગેરે માટે પણ દાન આપ્યું છે.

આ વર્ષે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સરેરાશ યોગદાન વધીને રૂ. 4000 થયું છે, જે નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 3388 હતું. વિવિધ અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સરેરાશ દાન તો તેનાથી પણ વધારે, એટલે કે રૂ. 6812 છે. 2022માં સ્નાતક થયેલા વિદ્યાર્થીઓમાંથી આશ્ચર્યજનક 81 ટકા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ નાણાકીય વર્ષ 2022-23માં IITGNમાં યોગદાન આપ્યું છે.

IITGN-2020માં BTech ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સ્નાતક કરનાર અને પરડ્યુ યુનિવર્સિટી, USAમાં પીએચડી સ્કોલર કૃતિકા ભગતાનીએ જણાવ્યું હતું કે ફ્લેક્સિબલ શૈક્ષણિક વાતાવરણે મને શીખવાની અને એક્સ્પ્લોર કરવાની સ્વતંત્રતા આપી. તેણે મારી કારકિર્દી અને વ્યક્તિત્વને ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

તાજેતરના વર્ષોમાં IIT ગાંધીનગરમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી મળતા દાનમાં ઝડપથી વધારો થયો છે. નાણાકીય વર્ષ 2019-20માં રૂ. 36 લાખથી લઈને નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 69 લાખ સુધી પહોંચીને છેલ્લાં ત્રણ વર્ષમાં તે લગભગ બમણું થઈ ગયું છે. વાસ્તવમાં, IIT-ગાંધીનગરમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સ્થાપવામાં આવેલી 23 શિષ્યવૃત્તિઓમાંથી લગભગ અડધી શિષ્યવૃત્તિઓ છેલ્લાં બે નાણાકીય વર્ષોમાં સ્થાપિત કરવામાં આવી છે.

જસુભાઈ મેમોરિયલ ચેર પ્રોફેસર અને પ્રોફેસર-ઈન-ચાર્જ, એલ્યુમની રિલેશન્સ, IITGNના પ્રો. જેસન એ. મંજલી એ જણાવ્યું હતું કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું નેટવર્ક કોઈપણ શૈક્ષણિક સંસ્થા માટે સપોર્ટનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. અમારા યુવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો આવો સ્નેહ હ્રદયસ્પર્શી છે. IIT ગાંધીનગર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે મજબૂત સંબંધોને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે અને તેમની સતત ભાગીદારી અને સપોર્ટને પ્રોત્સાહિત કરે છે.