અમદાવાદથી ખુલ્લા પગે સાઇકલ પર અયોધ્યા પહોંચ્યો રામભક્ત

અમદાવાદઃ ભગવાન રામની નગરી અયોધ્યા ધાર્મિક ઉત્સાહમાં ડૂબી ગઈ છે. ચોતરફ સીતા રામ અને જય હનુમાનનો નાદ ગૂંજી રહ્યો છે. લોકો જય શ્રીરામના વસ્ત્ર ધારણ કરી રહેલા દેખાય છે. ગુજરાતના અમદાવાદથી સાઇકલ ચલાવીને 63 વર્ષીય નેમારામ પ્રજાપતિ ભગવાનના રામની ભૂમિ એટલે કે અયોધ્યા પહોંચ્યા છે. વડા પ્રધાન મોદી 22 જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તિના પ્રણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થવાના છે. રામ મંદિર 23 જાન્યુઆરીએ જનતા માટે ખૂલવાની અપેક્ષા છે.

રામ ભક્ત નેમારામ પ્રજાપતિએ કહ્યું હતું કે મેં 1992થી જૂતાં નથી પહેર્યા અને મારો સંકલ્પ હતો કે હું જૂતાં ત્યારે પહેરીશ, જ્યારે અયોધ્યામાં રામ મંદિર બની જશે. હું પ્રભુ રામના દર્શન માટે અમદાવાદથી ખુલ્લા પગે સાઇકલ ચલાવીને અયોધ્યા પહોંચ્યો છું.

પ્રજાપતિની સાઇકલની સામે એક બોર્ડ પર લખ્યું છે કે તેમની અમદાવાદથી અયોધ્યાની યાત્રા ગયા વર્ષે બીજી ડિસેમ્બરે શરૂ થઈ હતી અને એ દરમ્યાન તેઓ રાજસ્થાનનાં પવિત્ર સ્થળોએ પણ ગયા હતા.

પ્રજાપતિ ઉપરાંત ઓમ ભગતે (47) પોતાને બુદ્ધ અંકલ કહે છે. તેઓ પણ અખિલ ભારતીય સાઇકલ યાત્રા પર છે અને ગુરુવારે અયોધ્યા પહોંચ્યા છે. તેમણે કહ્યું હતું કે હું 20,000 કિલોમીટરનું અંતર કાપીને અહીં સુધી પહોંચ્યો છે અને ઉત્તર પ્રદેશ મારું 16મું રાજ્ય છે. મારે 4000 શહેરો અને 741 જિલ્લાઓની યાત્રા કરવી છે.  હું પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અયોધ્યામાં રહેવા ઇચ્છું છું એટલે મેં મારી યાત્રા એ મુજબ બનાવી છે.