ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકે ગિરનાર પર રીસર્ચ કરી બનાવ્યું 10,500 પેજનું એક પુસ્તક

જૂનાગઢઃ ગિરનાર એટલે સતની ધરતી. ગુજરાતમાં આવેલું આ ગિરનાર આધ્યાત્મિક ધરતી કહેવાય છે. ગિરનારની અનેક ગુફાઓમાં સતના આરાધકો એવા સાધુ, સંતો અને અઘોરીઓ બિરાજમાન છે અને ત્યાંથી તેઓ ઈશ્વરની ભક્તિ કરે છે. આ એક એવી જગ્યા છે જ્યાં નરસિંહ મહેતાએ 52 વાર ભગવાનને બોલાવ્યાં હતાં.

ગિરનારની સુંદરતા, સત, અને શીતળતા જોઈને અનેક વિદેશીઓ અહીંયા આકર્ષિત થાય છે. વિદેશી લોકો અહીંયા આવીને રીસર્ચ કરે છે અને તે ભક્તિની શક્તિ, સત અને સુંદરતાનું વર્ણન કરે છે. ત્યારે ગિરનાર જંગલના ઝાડવે ઝાડવે ફરીને એક ઓસ્ટ્રેલિયાના એક વૈજ્ઞાનિકે 300 પાનાનું એક ચેપ્ટર એવા 35 ચેપ્ટરો સાથેનું અને 10,500 પાનાનું એક પુસ્તક તૈયાર કર્યું છે. આ ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકનું નામ ડો.જ્હોન છે. ડો.જ્હોને કહ્યું કે જૂનાગઢના અદભૂત તરંગો મને તેના તરફ આકર્ષિત કરે છે. વન્ય સંપદાના અભ્યાસુ ડો. જ્હોન વેનરે જણાવ્યું કે હું સતત વીસ વર્ષથી ગિરનાર આવું છે. મને અહીંયા બધું જ વિશિષ્ઠ લાગે છે અને ગિરનારના પ્રભાવક વાઈબ્રેશનોએ મને અહીં સંશોધન કરવા પ્રેરિત કર્યો છે.

ગિરનારના ધાર્મિક સ્થળો, કુદરતી સૌંદર્યથી ભરપુર સ્થળો તેમજ જૂનાગઢ શહેરનું વાતાવરણ મને ખૂબ આકર્ષિત કરે છે. આ તમામ પોઝીટીવ વાઈબ્રેશન મને ઓસ્ટ્રેલિયાથી અહીં ખેંચી લાવે છે. ડો.ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરના વતની છે. તેઓ પ્રથમવાર 1989માં જૂનાગઢ આવ્યા હતા અને ગિરનાર વિસ્તારમાં ફર્યા હતા. બસ ત્યારથી લઈ આજ સુધી આ ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિક ગિરનાર અને જૂનાગઢ શહેરથી એટલી હદે પ્રભાવિત છે કે ગિરનાર તળેટી ખાતે યોજાતા શિવરાત્રી મેળા વખતે તેઓ અચૂક હાજર રહે છે.

ઓસ્ટ્રેલિયન સરકારમાં વૈજ્ઞાનિક જેવો મોભાદાર હોદ્દો ધરાવતા ડો.જ્હોન ગુજરાતી ભાષા સમજી અને ઠીકઠીક પ્રમાણમાં બોલતાં પણ થઈ ગયા છે. ગિરનાર જંગલ વિસ્તારના વૃક્ષોથી લઈ કિટકો જેવા જીવજંતુઓનું પણ તલસ્પર્શી સંશોધન કરી ઝીણામાં ઝીણી વિગતો સાથે તેમણે ૩૦૦ પાનાનું એક ચેપ્ટર એવા 35 ચેપ્ટર સાથેનું દળદાર પુસ્તક પ્રસિદ્ધ કર્યુ છે.

ગિરનાર અને જૂનાગઢ માટે એન્સાઈક્લોપિડીયા ગણાવી શકાય તેવું આ પુસ્તક રચવા માટે તેમણે ગિરનારના તમામ ધાર્મિક સ્થાનો અને જગ્યાઓમાં ફરીફરીને વિગતો એકત્ર કરી છે અને અહીંથી તેમને જે કાંઈ મળ્યુ તેનું ઊંડુ રીસર્ચ કરી 10,5૦૦ પાનાનું દળદાર ગ્રંથ જેવા પુસ્તકની ભારત સહિત વિશ્વને ભેટ આપી છે. આગામી તા.27 થી ગિરનાર તળેટી ખાતે યોજાનાર ભવનાથ મહાશિવરાત્રી મિનીકુંભ મેળા અંતર્ગત રૂટીન મુજબ આ ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિક જૂનાગઢ આવી પહોચ્યાં છે.