ઘરે ઘરે માંદગીના ખાટલા, અમદાવાદમાં 700 ડેન્ગ્યુના કેસ નોંધાયા

રાજ્યમાં બેવડી ઋતુના પગલે અનેક વિસ્તારોમાં રોગચાળો વકર્યો છે. ત્યારે ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા જેવી મચ્છરજન્ય બીમારીનો ઉપદ્રવ યથાવત્‌ છે. અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં એક મહિનામાં જ ડેન્ગ્યુના 700થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સપ્ટેમ્બરના 22 દિવસમાં સોલા સિવિલ હૉસ્પિટલમાં ડેન્ગ્યુના 1839 શંકાસ્પદ કેસમાંથી 357 પોઝિટિવ આવ્યા હતા. જેમાં બીજીથી આઠમી સપ્ટેમ્બરમાં 152, 16મીથી 22મી સપ્ટેમ્બરમાં 89 કેસ નોંધાયા હતા. સપ્ટેમ્બર મહિનામાં સોલા સિવિલમાં ડેન્ગ્યુના રોજના સરેરાશ 16 કેસ સામે આવે છે. બીજી તરફ અસારવા સિવિલમાં ઑગસ્ટમાં 243 કેસ નોંધાયા હતા. જ્યારે સપ્ટેમ્બરના 26 દિવસમાં ડેન્ગ્યુના 343 કેસ નોંધાયા છે. સોલા સિવિલમાં મેલેરિયાના 86 કેસ નોંધાયા છે. જેમાં બીજીથી આઠમી સપ્ટેમ્બરમાં 33, નવમીથી 15મી 29, 16મીથી 22મી સપ્ટેમ્બરમાં 24 કેસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સપ્ટેમ્બરમાં ચિકનગુનિયાના 28 કેસ નોંધાયેલા છે. વાયરલ ઇન્ફેક્શનના સોલા સિવિલમાં 6109 કેસ સામે આવ્યા છે. આ પૈકી 16મીથી 22મી સપ્ટેમ્બરમાં 1938 કેસનો સમાવેશ થાય છે.

ત્યારે બીજી બાજું વડોદરા શહેરમાં ગઈકાલે ડેન્ગ્યૂના 7 કેસ પોઝિટિવ આવ્યા હતા. આ સાથે કમળા અને ટાઇફોઇડના એક-એક તેમજ ઝાડાના 106 કેસ નોંધાયા હતા. બીજી તરફ પાણીજન્ય રોગચાળામાં ક્લોરિન ટેસ્ટિંગના કુલ 1139 ટેસ્ટ કરાયા હતા. જેમાંથી 1134 કેસ પોઝિટિવ નોંધાયા હતા. જ્યારે શહેરમાં એક જ દિવસે ઝાડાના 106 કેસ નોંધાયા હતા. શહેરમાં શંકાસ્પદ ડેન્ગ્યૂના 52 સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. જેમાંથી ખોડિયારનગર, મકરપુરા, શિયાબાગ-2, ગોકુલનગર, ભાયલી અને મકરપુરા સહિતના વિસ્તાર 7 કેસ પોઝિટિવ આવ્યા હતા. બીજી તરફ મલેરિયાનાં શંકાસ્પદ 1088 સેમ્પલ લેવાયાં હતાં. આ સિવાય કલાલીમાંથી કમળાનો એક કેસ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ખોડિયારનગર વિસ્તારમાંથી એક ટાઇફોઇડનો કેસ પોઝિટિવ આવ્યો હતો. આરોગ્ય વિભાગે 37,687 ઘર તપાસીને 19,827 મકાનમાં ફોગિંગ કર્યું હતું.