શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો 50 લાખ શ્રમિકોએ મેળવ્યો લાભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શક નેતૃત્વ હેઠળ ઓક્ટોબર 2022માં શ્રમિક અન્નપૂર્ણા યોજનાની કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી હતી, અને આજે માત્ર એક વર્ષના સમયગાળા દરમિયાન રાજ્યના લગભગ 50 લાખ શ્રમિકો આ યોજના હેઠળ રૂપિયા 5 માં ભોજનનો લાભ મેળવી ચૂક્યા છે.

શ્રમિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા બાંધકામની સાઇટ પર ભોજનની ડિલીવરી પણ કરવામાં આવે છે. અત્યારે 50થી વધુ બાંધકામ શ્રમિકો જ્યાં કામ કરતા હોય તેવી બાંધકામ સાઇટ પર ભોજનની ડિલીવરી કરવામાં આવે છે. હાલ, અમદાવાદ, ગાંધીનગર, સુરત અને વડોદરાની 13 સાઇટ પર શ્રમિકો માટે ભોજન પહોંચાડવામાં આવે છે.

શ્રમિક અન્નપૂર્ણા યોજના શું છે

ગુજરાત સરકારે 18 જુલાઈ, 2017ના રોજ ગુજરાતના જે બાંધકામ શ્રમિકો તેમજ તેમના પરિવારજનો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ નક્કી કરેલાં શહેરોના કડિયાનાકા પર કાઉન્ટર શરૂ કરીને શ્રમિકો-કામદારોને માત્ર દશ રૂપિયામાં ટિફિન ભરી આપવામાં આવતું હતું. શ્રમિકો જે સમયે કામ પર નીકળે ત્યારે ટિફિન ભરાવી લે એ રીતે સવારે સાતથી અગિયાર વાગ્યા સુધી ત્યાં કાઉન્ટર પર ભોજન વિતરણ થતું. કોરોનાકાળ દરમિયાન આ યોજના બંધ કરવામાં આવી હતી. જો કે હવે ફરી આ યોજનાનો લાભ લાભાર્થીઓ લઈ રહ્યાં છે.

શ્રમિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા બાંધકામની સાઇટ પર ભોજનની ડિલીવરી પણ કરવામાં આવે છે. અત્યારે 50થી વધુ બાંધકામ શ્રમિકો જ્યાં કામ કરતા હોય તેવી બાંધકામ સાઇટ પર ભોજનની ડિલીવરી કરવામાં આવે છે. હાલ, અમદાવાદ, ગાંધીનગર, સુરત અને વડોદરાની 13 સાઇટ પર શ્રમિકો માટે ભોજન પહોંચાડવામાં આવે છે.

10 જિલ્લાઓમાં 118 કડિયાનાકા પર શ્રમિકોને ભોજન

શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત રાજ્યમાં 10 જિલ્લાઓમાં 118 કડિયાનાકા પર ભોજન પ્રદાન કરવામાં આવે છે. આ જિલ્લાઓમાં અમદાવાદ (47 કડિયાનાકા), ગાંધીનગર (4 કડિયાનાકા), વડોદરા (12 કડિયાનાકા), સુરત (18 કડિયાનાકા), નવસારી (3 કડિયાનાકા), રાજકોટ (9 કડિયાનાકા) અને મહેસાણા (7 કડિયાનાકા), વલસાડ (6 કડિયાનાકા), પાટણ (8 કડિયાનાકા) અને ભાવનગર (4 કડિયાનાકા) નો સમાવેશ થાય છે.

આ યોજના અંતર્ગત શ્રમિકોને ભોજનમાં કઠોળનું શાક, બટાકા અને મિક્ષ શાક, રોટલી, ભાત, અથાણું/મરચાં, ગોળ, દર ગુરુવારે ખીચડી-કઢી તેમજ અઠવાડિયામાં એક વખત સુખડી અથવા તો શીરો આપવામાં આવે છે. પ્રતિ ભોજન અત્યારે સરકાર તરફથી રૂપિયા 37ની સબસીડી ચૂકવીને માત્ર રૂપિયા5માં શ્રમિકોને ભોજન પૂરું પાડવામાં આવે છે.

ઈ-નિર્માણ કાર્ડથી શ્રમિકો મેળવે છે ભોજન

શ્રમિક અન્નપૂર્ણાના તમામ કેન્દ્રો ઉપર ઈ-નિર્માણ કાર્ડની મદદથી ભોજન શ્રમિકો ભોજન મેળવે છે. કાર્ડનો ક્યુઆર (QR) કોડ સ્કેન કરાવીને ટિફિનમાં કે સ્થળ પર જ એક સમયનું ભોજન શ્રમિકો મેળવી શકે છે. જે લાભાર્થીઓ પાસે ઈ-નિર્માણ કાર્ડ ન હોય તેમના માટે બૂથ પર જ બાંધકામ શ્રમિકોની હંગામી ધોરણે નોંધણી થાય છે અને 15 દિવસ સુધી તેઓ ભોજન મેળવી શકે છે.